આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦ : કાંચન અને ગેરુ
 

ધનિક પતિઓની શ્રદ્ધા બહુ ઈચ્છનીય હશે, પરંતુ તે સાચી ન પણ પડે એવી શંકા કિશોરલાલને ત્યારથી ઊપજી,

થોડા જ દિવસમાં એક અવનવો બનવા બન્યો. દરવાજા ઉપર એક પહેરાવાળાને સ્થાને બે પહેરાવાળા દેખાયા ! મહાશ્વેતાની બન્ને આંખ ભરાઈ ! હસતાં હસતાં મહાશ્વેતાએ કિશોરલાલને પૂછ્યું; 'પહેરાવાળો બીજો રાખ્યો કે શું?'

'હા, અત્યારના સંજોગો એવા છે.'

'એવા છે એટલે ?' સહજ તીક્ષ્ણ આંખ કરી મહાશ્વેતાએ પૂછ્યું.

'તું વાંચતી નથી આ હિંદુ-મુસલમાનના આટલા ઝઘડા ચાલે છે તે ?'

'ઝઘડો આપણા ભણી નથી, અને ધારો કે ઝઘડો અહીં આવ્યો તો બે પઠાણો શું કરી શકશે?'

'બન્ને પઠાણ નથી. બીજો તો શીખ રાખ્યો છે.'

'એથી લાભ શો ! '

'પઠાણ શીખ ઉપર નજર રાખે અને શીખ પઠાણ ઉપર નજર રાખે. આપણે હિંદુ છીએ એટલે વધારે ડર મુસલમાનોનો.'

'તો પઠાણને રજા આપી દો.'

મહાશ્વેતાને નવો આવેલ શીખ વધારે ગમી ગયો હશે શું ? કિશોરલાલના હૃદયમાં ધબકારો થયો. તેમણે જવાબ આપ્યો: એકદમ તો શું રજા અપાય? વર્ષોનો જાણીતો માણસ છે ! એને અત્યારના સંજોગોમાં છૂટા કરીએ અને વખતે એ જ મુસ્લિમ પઠાણ ગુંડાઓને આ બાજુ દોરે તો શું કરુવું ?'

'આપણા ઘરમાં પુરુષો તો જોઈએ એટલા છે ! નોકર, રસોઈયા, ગુમાસ્તા, કારકુન, તમારા સગાંવહાલાં અને તમે ! પછી