'કોઈ દેખશે.' નીતિને ભારેમાં ભારે ડર કોઈ દેખે એનો હોય છે !
'કોઈ કોણ?'
'શેઠસાહેબ ઘરમાં છે, અને...'
'અંહ !' કહી મહાશ્વેતાએ મુખ મચકોડ્યું. મહાશ્વેતાનો બેપરવાઈ ભર્યો મુખમચકોડ પણ કિશોરલાલની નજરે ચઢી ગયો. તેઓ ઝડપથી પાછા ફર્યા. મહાશ્વેતા અને રખવાળને કદાચ તેની ખબર પણ પડી હોય !
એ કયો રખવાળ હતો ?
પરંતુ એમાંથી કોઈને પણ આજના સંજોગોમાં કઢાય શી રીતે ?
'બાબાને હું જરૂર અખાડામાં કસરત કરવા મોકલીશ.' ગુસ્સે થયેલા કિશોરલાલ દીવાનખાનામાં આવી બબડ્યા અને તેમણે એક છાપું હાથમાં લીધું. છાપામાં મોટા અક્ષરે તેમણે વાંચ્યું :
૧[૧]
વર્ષોથી સીમની રખવાળી કરતા સિંધીઓને દૂર કરવાની
કિશોરલાલની આંખ થિર બની ગઈ !
ગુજરાતના બે કમાઉ પુત્રો : એક વ્યાપારી અને બીજો ખેડૂત. એકના ઘરમાં પઠાણ અને બીજાના ઘરમાં સિંધી !
એટલેથી બસ ન થયું હોય તેમ શીખ અને ગુરખાની જમાત પણ ગુજરાતના ધનિકો ખેંચી લાવે છે !
જેની રખવાળી એનું રાજ્ય ! રાજ્યકર્તા કયી કયી ભેટ નહિ માગે ? અને....વગર માગ્યે પણ એને કઈ ભેટ નહિ મળે?
- ↑ ૧પાકની રખેવાળી કરવા સિંધી મુસલમાનો રાખવાનો વહીવટ કાનમ પ્રદેશમાં જાણીતો છે સિંધીઓને રંજાડ વધતાં તેમને દૂર કરવા સરકારે કરેલા પ્રયત્ન ખેડૂતવર્ગને ગમ્યા ન હતા.