આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪ : કાંચન અને ગેરુ
 


આ મુત્સદ્દીગીરી વર્તમાનપત્રોની દ્રષ્ટિએ બહુ આવકારદાયક હતી. ભગવાનદાસભાઈની આંખમાં પણ હવે મુસદ્દીગીરીના હોજ ભરેલા લાગતા હતા – અલબત્ત, અંગ્રેજોની માફક અગર હિંદના ગુંડા લફંગાઓ કે આઈ.સી.એસ. અમલદારોની માફક તેઓ આંખ મીચકારો ન જ કરે એ સમજી શકાય એમ હતું. એ જ મુત્સદીગીરીનાં મને વખતોવખત દર્શન થતાં, અને હું રાજી થતો કે આપણા સ્વરાજ્યની માફક આપણા નેતાઓના વર્તન પણ ધર્મના અંચળાને બાજુએ ફેંકી સાદી સમજનો આશ્રય લેતાં થઈ ગયાં હતાં. મારે ભગવાનદાસભાઈ પાસે નિત્ય જવાનું; એટલે તેમની મુત્સદ્દીગીરીના પરચા મને રોજ મળતા.

એક ગામમાં મુસ્લિમ તંગદિલી વધી ગઈ. મુસ્લિમોને કોઈની સલાહ જરૂરી હોતી જ નથી; પરંતુ હિન્દુઓની સલાહમસલત માટેની દોડાદોડી કોઈ પણ શાંતિપ્રિય પ્રજાને શોભાવે એવી હોય છે – સ્વરાજ્યમાં પણ ! અને સલાહ પણ ભગવાનદાસભાઈ વગર તો કોની લેવાય ? આઠદસ આગેવાનો એકાએક આવી પહોંચ્યા ભગવાનદાસભાઈ પાસે. ગામના કામ માટે એકલકલ માણસ ન જ આવી શકે.

'હા, બોલો ! તમારા ગામમાં તો કંઈ કોમી ઝઘડો સંભળાય છે..નહિ?' એક સર્વજ્ઞ જોષીની અદાથી ભગવાનદાસે પૂછ્યું.

'વાત ન કરશો, ભગવાનદાસભાઈ, અમારા દુ:ખની !' કહી ગામના આગેવાનોના આગેવાને દુઃખની વાત શરૂ કરી. આગેવાનોમાં પણ ચઢતી ઊતરતી શ્રેણી હોય છે એ હવે સહુને સમજાય એવી બિના છે. મુસલમાની વિરુદ્ધ ગામડાંમાં મુખ્યત્વે બે ફરિયાદ આગળ આવતી : એક તો તેઓ લીગવાદી પ્રવૃત્તિ કરે છે એ, અને બીજી ફરિયાદ કૂવાતળાવ ઉપર પાણી ભરવા જતી ગ્રામનારીઓની તેઓમાંના કેટલાક ગુંડાઓ છેડતી કરે છે તે.

આસપાસ મારા સિવાય બીજું કઈ બેઠું નથી એમ ખાતરી થતાં તેમણે ગામલોકોને કહ્યું : 'તે તમે શું બંગડીઓ પહેરી બેઠાં