આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨ )

કરવાનું વાંચનારાઓને સોંપીએ છીએ. આ પુસ્તકમાં ભૂત, પ્રેત, વગેરે વહેમોની વાત આવે છે, તથા કેટલાએક વિષય ઉપર જુદા જુદા માણસોએ પોતાના અભિપ્રાય જણાવ્યા છે - તેઓ સઘળા માનવા લાયક તથા તે વાતો સાચી છે એવો મારો વિચાર નથી. જે વખતે એવી વાત બની એમ લખ્યું છે તે વખતે તેઓ ઉપર લોકોને ઘણો ભરોસો હતો, અને એવી મતલબની દંતકથાઓ હજી પણ આ પ્રાંતમાં ચાલે છે, તે માત્ર જણાવવી એ જ હેતુથી આ પુસ્તકમાં તે દાખલ કીધી છે, અને જે માણસોએ જેવા અભિપ્રાય આપ્યા છે તેવા જ તેઓના ખરેખરા હતા તે બતાવી આપવાને આ ઠેકાણે તે પ્રસિદ્ધ કીધા છે.

આવી જાતનું પુસ્તક ગુજરાતીમાં પહેલું જ છે માટે તેમાં ખામીઓ તો હશે જ, તેને માટે સુજ્ઞ વાંચનારાઓ તરફથી માફી મળવાની આશા રાખું છું. જો આ પુસ્તકથી વાંચનારાઓને આનંદ માત્ર થશે તો એ લખવાની મતલબ ઘણે દરજ્જે પાર પડી એમ હું સમજીશ.

નં. તુ.