કુટી રડવા મંડ્યો. ડોશીને કોઈએ મારી નાંખી, અને તેના પૈસા કોઈ લઈ ગયું એવી વાત થવા માંડી, એટલામાં ભત્રિજાએ આંખ લુંછી સાવધ થઈને આસપાસ જોયું અને કહ્યું કે આ નવા જાત્રાળુ આવેલા છે તેમાં એક તો શ્રાવક છે તેથી તે તો એવી હત્યા કરે નહી, પણ બીજો બ્રાહ્મણ છે તેના ઉપર મને ઘણો શક જાય છે, તેણે જ ખુન કીધું હશે, માટે તેને ઝાડો જોવો. એટલું સાંભળતાં જ તેણે તથા બીજા લોકોએ માધવને પકડ્યો, અને તેને સઘળો સામાન જોયો, તેમાં કેટલા એક પૈસા નીકળ્યા તે ડોશીના છે એમ તેનો ભત્રિજો કહેવા લાગ્યો, અને માધવને ઘણુંએ સમજાવ્યો તો પણ તેણે એવું કહ્યાં જ કીધું કે એ તો મારા છે, માધવના કહેવાથી તે ભત્રિજાને પતીજ થઈ નહીં તેથી પાસેના ગામના રાજા આગળ ફરિયાદ કરવી, અને ખરે ખુની માધવ છે કે નહી તેની તજવીજ કરાવવી એમ ઠર્યું.
બીજે દહાડે તેઓ એક મોટા ગામમાં જઈ પહોંચ્યા, ત્યાં ધર્મશાળામાં સઘળા સંઘે ઉતારો કીધો. જ્યારે સઘળા રસોઈ કરવામાં પડ્યા હતા તે વખતે તે ભત્રિજે તે ગામના રાજાના કારભારી આગળ જઈ સઘળી હકીકત કહી. કારભારીને પાનસોપારી પણ મળ્યાં, તેથી તેણે ઠરાવ કીધો કે તપાસ ચાલે તેમાં ભત્રિજાને બચાવી લેવો, પાછલે પહોરે જ્યારે દરબાર ભરાયો ત્યારે ભત્રિજો ત્યાં ગયો અને “ફરિયાદ” “ ફરિયાદ” બુમ પાડી, તે સાંભળી તેને રાજાએ પાસે બોલાવી તેની સઘળી વાત પૂછી લીધી, તેમાં કારભારીએ મરીમસાલો ભભરાવી આપ્યો, તે ઉપરથી રાજાએ હુકમ કીધો કે આવતી કાલે સવારે અગ્નિદિવ્ય કરવું, અને તે બ્રાહ્મણ ગુન્હેગાર છે કે નહી એ વાત નક્કી કરવી. તે વખતે ત્યાં જવાને રાજાએ કારભારીને હુકમ કીધો. બીજે દહાડે સવારે સૂર્યોદયની વખતે ગામના પાદર ઉપર એક લીમડાના ઝાડ આગળ હજારો માણસ જોવા મળ્યાં હતાં, ભત્રિજો આગળથી આવી ઉભો હતો. સંઘના લોકો માધવને લઈને આવ્યા, કારભારી ઝાડ નીચે એક શેતરંજી પથરાવી બેઠો અને થોડેક દૂર દેવતા સળગાવી તેમાં પૈડાંની લોઢાની વાટ એક લુહારે તપાવી લાલચોળ