રાતની વખતે નીકળીએ છીએ. તમે પહેલા જ મળ્યા છો, માટે જો
તમે વેદવ્યાસજીને માનતા હો તો લુગડાં પાઘડી આદિ જેને તમે
તમારું કહો છો તે અમારૂં કરો, નહીં તે આ તલવારવડે તમને પરમાત્માનો
મેળાપ કરાવી આપીશું.” માધવને એ બે વેદાંતી બ્રાહ્મણોની
વાત સાંભળી ઘણું હસવું આવ્યું, અને પેટના દુ:ખથી તેઓના
મગજ ઉપર અસર થઈ છે એમ સમજીને તેઓને એક સોનાની
મહોર આપી, તે લઈને આ બંને ઘણા પ્રસન્ન થયા, વિદાય કરતી
વખતે માધવે તેઓને બોધ કીધો કે હજી વેદવ્યાસજીનો મત
દુનિયામાં ચાલ્યો નથી, માટે હવે પછી જો તમે મારુંતારું સમાન ગણવા
જશો, તો આ તમારી જ તલવારથી તમને જ પરમાત્મા સાથે એાળખાણ
કરવું પડશે. વેદાંતીભાઈ તેઓને આશીર્વાદ દઈ ચાલતા થયા.
મહાભારતમાં પ્રસિદ્ધ થયલા હસ્તિનાપુરની પડેાસમાં જમના નદીને કીનારે દિલ્હી શહેર જે હમણાં છે, ત્યાં પહેલા રજપૂત રાજાઓ રાજ્ય કરતા હતા. છેલ્લો તુમાર વંશનો રજપૂત રાજા નિર્વંશ મરણ પામ્યો, ત્યારે અજમેરનો ચૌહાણ વંશનો રજપૂત રાજા પૃથુરાજ દિલ્હી તથા અજમેર એ બંને સંસ્થાનોનો ગાદીપતિ થયો. એ પૃથુરાજની કારકીર્દીમાં મુસલમાન લોકોના પાદશાહ શાહબુદ્દીન ઘોરીએ દિલ્હી ઉપર ચઢાઈ કીધી, અને તે પહેલી વાર પરાજિત થયો તો પણ બીજી લડાઈમાં તેનો જય થયો, પૃથુરાજ પકડાયે, અને દિલ્હી મુસલમાનોના હાથમાં ગયું.
દિલ્હીનો પહેલો મુસલમાન પાદશાહ કુતુબુદ્દીન હતો, તેણે અને તેની પછી જે પાદશાહો થયા તેઓએ દિલ્હી શહેરને ઘણું શોભાયમાન કીધું, અને રાજ્યની મર્યાદા વિસ્તારીને ઘણાએક હિંદુ રાજાઓની પરાપૂર્વથી સંઘરેલી લક્ષ્મી દિલ્હી શહેરમાં ઘસડી લાવ્યા.
ઈસવી સન ૧૨૯૬ ની દિવાળીમાં આ શહેરમાં ઘણી જ શોભા