ત્યાર પછી એક માણસના શબને લોકો લઈ જતા હતા તે
જોયું. તે ઉપરથી તેમને મનુષ્યના શરીરની નશ્વરતા અને ક્ષણભંગુરપણાનું
ભાન થયું. વળી એક સમયે એક રોગીને રોગથી
તરફડિયાં મારતો જોયો. એ સંબંધી તપાસ કરી તો જણાયું કે,
થોડા વખત પહેલાં એ સાજો હતો. હવે એને રોગ લાગુ પડ્યો
છે; તેથી એ પીડાય છે. રોગ એ પણ શરીરનો ધર્મ છે.
જ્યારે જ્યારે ગૌતમે આવા દેખાવો જોયા ત્યારે ત્યારે એને ઊંઘ ન આવી. ગહન વિચારોમાં ચિત્ત ડામાડોળ થવા લાગ્યું. એક દિવસ સારથિની સાથે ફરવા જતાં એક સંન્યાસીને દીઠો. ગૌતમે એની મુલાકાત લીધી, એનો શો ઉદ્દેશ છે, શા કારણથી સંન્યસ્ત વ્રત લીધું છે વગેરે જાણી લીધું અને મનમાં ને મનમાં કાંઈ પ્રતિજ્ઞા કરી.
ગોપાના વિવાહને દશ વર્ષ વીતી ગયાં. એ ગર્ભવતી થઈ અને દશ માસ પૂર્ણ થતાં એણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ગૌતમના પિતાને આશા બંધાઈ કે પ્રેમની આ દૃઢ સાંકળથી સિદ્ધાર્થ સંસારમાં બંધાઈ રહેશે. એને તત્વજ્ઞાનના વિચારો કરવાની ફુરસદ હવે નહિ મળે.
સગર્ભાવસ્થામાં એક રાત્રિએ ગોપા પતિની સાથે સૂઈ રહી હતી, એવામાં એને કાંઈક વિષમ સ્વપ્ન આવ્યું અને તે ઝબકીને ઊભી થઇ ગઈ. પતિના હસ્તને ત્રણ વાર ચુંબન કરીને પતિપ્રાણા સાધ્વી બોલી ઊઠી:―
“નાથ ! જાગો ! નાથ જાગો ! વાણી દ્યો આશ્વાસની”
ગૌતમ જાગ્યા. “વહાલી શું છે ? કેમ ઝબકી ઊઠી ? તબિયત તો ઠીક છે ને ?” એમ પ્રેમપૂર્વક પૂછવા લાગ્યા, પણ ગોપાનું રુદન તો ચાલુ જ હતું. એને ગળે ડૂમો ભરાઈ ગયો હતો. આખરે સ્વસ્થ થઈને એ નમ્રતાપૂર્વક બોલી:—
સૂતી હું નાથ ! સુખે મૃદુ નીંદરે, શિશુ બહુ ઉદરે તુજ તે સ્ફુરે;
જીવન, મોદ અને વળી પ્રેમની, દ્વિગુણ નાડી વહી હૃદયે રહી.
સુખદ ગાનજ તે તણું હું સુણી, મધુર નીંદરમાં શમતી ઘણી;
પણ અહો, કંઈ સ્વપ્નજ કારમાં, અનુભવી છબી જાગી હું તો હવાં.
એમ કહીને ગોપાએ પોતાને આવેલાં બે સ્વપ્નોની વાત