હતી અને પોતાને પુત્ર અવતરવા સારૂ બુદ્ધદેવની કેવી માનતા
માની હતી એ બધી વાત વિસ્તારીને કહી અને બાળકને
ભગવાનની આગળ ધર્યો. ભગવાને બાળકના ઉપરથી લાલ પાલવ
ખસેડીને પ્રેમપૂર્વક નિહાળ્યો તથા એના નાનકડા શિર ઉપર
હાથ મૂકીને આશીર્વાદ આપ્યો:—
“લાંબુ સુખ ભોગવજે !
જીવન દુઃખના ભારને વહી નાંખને સ્હેજે
સુંદર બાળક તારો !
આશ્રય મુજને અન્નનો આપ્યો બહેન ! તેં આજે.
હું નથી દેવ કો સ્વર્ગનો હું તુજ બાંધવ સાચે,
સુંદર બાળ નિહાળું હું”
“હું પોતે પૂર્વાશ્રમમાં રાજકુમાર હતો, મોટા સુખવૈભવ ભોગવતાં હતો અને હાલ છ વર્ષથી સંસારનાં દુઃખ અને અંધકારનો નાશ કરે એવા દિવ્ય જ્ઞાનની શોધમાં જંગલે જંગલ ભટકું છું. આજ કેટલાયે દિવસનો હું ભૂખ્યો હતો તેને—
“સુંદર ભગિની જીવાડિયો આપી ભોજન મીઠું;
તે પૂર્વે કાયા નિર્બલી લથડી ગઈ ત્યાં મેં દીઠું.
દર્શન એ દિવ્ય જ્યોતિનુ ! સુંદર આ બાળક સમું.”
આ પ્રમાણે પોતાનો અનુભવ કહી ભગવાન બુદ્ધ ખરા સાધુને છાજે એમ પૂછવા લાગ્યા:—
“બહેન ! કહે, પણ આજ જીવન સુખમય તું ગણે ?
જીવન જીવી એમ સુખ માધુર્ય તું ભોગવે ?
જીવનને વળી પ્રેમ એ બે તું બસ માનતી ?
(વલણ)
“પ્રેમ અને જીવન તને પૂરાં લાગે માત્ર ?”
કેવો સરલ પણ ગંભીર પ્રશ્ન છે ! બુદ્ધદેવનો એ પ્રશ્ન પ્રત્યેક વાચક બન્ધુ તથા બહેને પણ હાલને સમયે પોતાને પૂછવો ઘટે છે. પાર્થિવ સુખ તથા વૈભવ પ્રત્યેનો મોહ સુજાતાના કાળ કરતાંયે હજારોગણો હાલમાં વધી પડ્યો છે. સુજાતાએ દીન ભાવે ઉત્તર આપ્યો:—