પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૬૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

८–सुप्रिया

અનાથપિંડદ નામના એક પ્રસિદ્ધ ધનવાન વેપારીની લાડકી કન્યા હતી. એના સંબંધમાં એમ કહેવાય છે કે, એ કન્યા આ જગતમાં પગ મૂકતાંની સાથેજ પોતાની જનેતાના મુખ તરફ કૌતુકભરી દૃષ્ટિથી જોઈને ‘બૌદ્ધગાથા’નું ઉચ્ચારણ કરવા લાગી હતી. એ ગાથાનો અર્થ એ છે કે, “બૌદ્ધ લોકોને પુષ્કળ ધન અને ખાનપાનના પદાર્થોનું દાન કરીને સંતોષ પમાડો. જે જે સ્થળે પવિત્ર બૌદ્ધસ્થાનો હોય ત્યાં ત્યાં ચંપાનાં ખુશબોદાર ફૂલ ચડાવો.” આ તરતની જન્મેલી કન્યાની સૂચના પ્રમાણે તેના પિતાએ પુણ્યદાન કર્યું. કેટલાંક વર્ષો બાદ એક બૌદ્ધ પરિવ્રાજક (સાધુ) તેમને ઘેર ભિક્ષા માગવા આવ્યો. એ સાધુનું ધર્મોપદેશરૂપી બીજ બાળકી સુપ્રિયાની ફળદ્રૂપ ચિત્ત ભૂમિમાં પડતાંની સાથેજ અંકુરિત થયું અને થોડા સમયમાં વધીને એક મોટું વૃક્ષ બની ગયું. એમ કહેવાય છે કે, કોઈ અદ્‌ભુત શક્તિની અસરથી તે પૂર્વજન્મનું વૃત્તાંત સ્મરણ કરીને કહી શકતી. સાત વર્ષની વયેજ મહાપ્રજાપતિ ગૌતમીના હાથે તેણે બૌદ્ધધર્મની દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તેણે પોતાનો બધો અમૂલ્ય સમય કેવળ તત્ત્વજ્ઞાન મેળવવામાં અને બૌદ્ધધર્મના અભ્યાસમાંજ માન્યો હતો એમ નથી; કારણકે એક તત્ત્વજ્ઞાની સ્ત્રી તરીકે તો તે પ્રસિદ્ધ થઈ એટલુંજ નહિ, પણ મરકીથી સપડાયેલા રોગીઓ, દુકાળથી રિબાતા કંગાલો અને ગરીબોની સેવાચાકરી કરીને એ પોતાના સમચના સઘળા લોકોની આભારપાત્ર બની હતી. નીચેના એક બનાવ ઉપરથી એની એ પરોપકાર વૃતિનો પરિચય આપણને મળી આવે છે.

શાસ્તા બુદ્ધદેવ એ વખતે જેતવનના વિહારમાં વાસ કરી રહ્યા હતા.