પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૬૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
સુપ્રિયા



આનંદ સ્વામીએ પછી વિશેષ કાંઈ પૂછ્યું નહિ. ઘણી વાર સુધી એકીટશે તથાગત બુદ્ધના મુખ તરફ જોઈ રહ્યા અને પછી તે દૃષ્ટિ તેમણે ભૂરા આકાશ તરફ ફેરવી.

ભૂરૂં આકાશ એ વખતે સૂર્યદેવનાં પ્રખર કિરણોથી પ્રકાશિત થઈ રહ્યું હતું. આનંદ સ્થવિર એ આકાશ તરફ થોડી વાર સુધી પલક પણ હલાવ્યા વગર ઉદાસ ચિત્તે જોઈ રહ્યા. તેમનાં નેત્રમાં પાણી ભરાઈ આવ્યું. આર્ત મનુષ્યોનું રક્ષણ કરવા સારૂ એમનું હૃદય એકદમ ચંચળ થઈ ગયું. એમની આંખમાં હવે સહાનુભૂતિની તીવ્ર જ્યોતિ પ્રગટવા લાગી.

પાસે બેઠેલા બધા ભિક્ષુઓ તેમના એ મુખ તરફ જોઈ રહ્યા હતા. આનંદ સ્વામીએ તેમના તરફ એક વાર સ્નેહભરી દૃષ્ટિથી જોયું.

ત્યાર પછી એ ગુરુજીની રજા લઈને ત્યાંથી વિદાય થયા.

એ દિવસે સંધ્યાકાળે વિહારમાં આવેલા ભક્તોને ભગવાન બુદ્ધે ‘જીવોનાં દુઃખ અને તેનું કારણ’ એ વિષય ઉપર સુમધુર દેશના આપી. ત્યાર પછી વિસર્જન થતાં પહેલાં તેમણે વાતચીતના પ્રસંગમાં શ્રાવસ્તીના એ દુકાળનું વિગતવાર વર્ણન કરીને બધાને એ સંકટનું નિવારણ કરવાનો આગ્રહ કર્યો.

ભગવાન તથાગતે પોતાના ભક્ત સેવકોને સંબોધીને કહ્યું: “તમારામાં તો ઘણા કુબેરના જેટલી સંપત્તિવાળા છે. મારી ખાતરી છે કે તમારામાં એક જણ ધારે તો આ દુકાળના દુઃખનું નિવારણ કરી શકે અને એમ ન બને તો બધા મળીને તો જરૂર એ દુઃખ શમાવી શકાય.”

ધનકુબેર રત્નાકર શેઠ ભગવાનની પાસે હાથ જોડીને ઊભા અને કહેવા લાગ્યા: “ભગવન્ ! વિશાળ શ્રાવસ્તી નગરી દુકાળના પંજામાં ફસાઈ છે. એ નગરની વસ્તી કાંઈ નાનીસૂની નથી. એટલાં બધાં લોકોને માટે અન્નની ગોઠવણ કરવી એ મારા તો ગજા ઉપરાંતની વાત છે.”

બુદ્ધદેવે સામંતરાજ જયસેનને કહ્યું: “રત્નાકર શેઠથી જે કામ નથી થઈ શકતું તે કામ તમે કરી શકશો એવી મને આશા છે.”

જયસેન માથું નમાવીને બોલ્યો: “ભગવન્ ! આપનાથી કાંઈ છાનું નથી. મારા પોતાના ઘરમાંજ અન્નનો અભાવ છે. કેવી