રીતે હું દેશની અનાજની તંગી પૂરી કરી શકવાનો હતો ! મહારાજ !
બાંધી મૂઠી લાખની છે.”
બુદ્ધદેવે જરાક હસીને કહ્યું: ‘ઠીક.’
ત્યાર પછી બીજા એક લક્ષાધિપતિ શેઠ ધર્મપાલને કહ્યું: “વત્સ ! હું ધારૂં છું કે તમારા પ્રયત્નથી આ દુકાળ શમી શકવાનો સંભવ છે.”
ધર્મપાલે નમ્રતાપૂર્વક કહ્યું: “ભગવન્ ! આપને તો ખબરજ છે કે આ વર્ષે પૂરતું અનાજ નહિ પાકવાથી આ દુકાળ પડ્યો છે. મારે પુષ્કળ ખેતરો છે. એ બધામાં પાક નથી થયો. રાજ્યનો વેરો ભરવો એજ મારે માટે વસમું થઈ પડ્યું છે, તો પછી હું આ વિશાળ નગરનાં ભૂખ્યાં રહેવાસીઓને કેવી રીતે અન્ન આપું ?”
ભગવાને કહ્યું: “ત્યારે આ સભામાં એવું કોઈ નથી કે જે ધારે તો આ ભયંકર દુકાળથી દેશબંધુઓને બચાવી શકે ?”
કોઈએ પ્રશ્નનો ઉત્તર આપ્યો નહિ.
ભગવાનનો પ્રિય શિષ્ય ભાગ્યવાન લક્ષાધિપતિ અનાથાપિંડદ એ વખતે સભામાં હાજર નહોતો. બુદ્ધદેવે એક વાર આખી સભા તરફ દૃષ્ટિ ફેરવી જોઈ. એમ જણાયું કે તેમનાં એ પવિત્ર લોચન એ સભામાં અનાથપિંડદને શોધવા સારૂ ફરી રહ્યાં હતાં, પરંતુ એ મેદનીમાં અનાથપિંડદ નહોતો.
બુદ્ધદેવ શાંત ભાવે પેતાના આસન ઉપર બેસી રહ્યા. સભામાંના બધાની દૃષ્ટિ એમના ઉપર હતી. પાસે બેઠેલા ભિક્ષુઓ પણ એમના બીજા આદેશો સાંભળવાને આતુરતાથી બેસી રહ્યા હતા.
એક વાર ફરીથી એ સભા તરફ જોઈને બુદ્ધદેવે કહ્યું: “ત્યારે શું આ સભામાં એવો કોઈ નથી કે જેના પ્રયત્નથી દેશવાસીઓનું રક્ષણ થઈ શકે ?”
“છે.”
સભામાં બેઠેલા બધા મનુષ્યો નેત્ર ફાડીને જે દિશામાંથી એ અવાજ આવ્યો હતો તે દિશા તરફ ઉત્કંઠાપૂર્વક જોવા લાગ્યા.
બુદ્ધદેવે પ્રસન્ન થઈને પૂછ્યું: “કોણ છે ?”
“હું, ભગવન્ ! આપની દીન સેવિકા આપની આજ્ઞા માથે ચડાવવા સર્વદા તૈયાર છું.”