આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫

સાચો બ્રાહ્મણ :



ઋષિએ એ નવા અતિથિની સામે સ્નેહમય નજર કરી. કોકિલકંઠે બાળક બોલ્યો : 'ગુરૂદેવ ! મારું નામ સત્યકામ : મારું ગામ કુશક્ષેત્ર : મારી માએ મને બ્રહ્મવિદ્યા શીખવા મોકલ્યો છે.'

હસીને બ્રહ્મર્ષિ મીઠી વાણીમાં બોલ્યા : 'કલ્યાણ થાઓ તારું, હે સૌમ્ય ! તારું ગોત્ર કયું બેટા ? તને ખબર નહિ હોય કે બ્રહ્મવિદ્યા તો માત્ર બ્રાહ્મણના બાળકને જ શિખવાય.'

ધીરે સ્વરે બાળકે કહ્યું : 'મારા ગોત્રની તો મને ખબર નથી, મહારાજ ! હું મારી માને જઈને પૂછી આવું ? પૂછીને તરત જ પાછો આવીશ.'

આતુર બાળક એટલું કહીને ગુરૂને નમન કરી ચાલી નીકળ્યો, સાંજે જ ચાલી નીકળ્યો. અંધારામાં એકલો જ ચાલ્યો, જંગલ વીંધીને ગયો. વનનાં પશુઓની ત્રાડો એને થરથરાવી ન શકી. આશ્રમમાં જઈને ભણવાની એની બડી આતુરતા હતી.

નદીને કિનારે ગામ હતું. ગામને છેડે પોતાની માનું ઝૂંપડું હતું ત્યાં બાળક પહોંચ્યો. ઘરમાં ઝાંખો દીવે બળે છે, ને એની મા જબાલા બારણામાં ઊભી ઊભી દીકરાની વાટ જુવે છે.

પુત્રને છાતી સાથે ચાંપીને માએ પૂછયું: 'ઋષિએ શું કહ્યું, બેટા !'

સત્યકામ કહે : 'માડી ! ઋષિજી તો પૂછે છે કે તારું