આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
'રાઓ' પદવી અને સાધનપ્રાપ્તિ


દશમ પરિચ્છેદ
'રાઓ' પદવી અને સાધનપ્રાપ્તિ


ખેંગારજી અને સાયબજી સિંહના સંહારના કાર્યમાં વિજય મેળવીને તથા સુલ્તાન મહમદ બેગડાના કૄપાભાજન થઇને અરણ્યમાંથી પાછા વળતાં માર્ગમાં નદીતીરસ્થ મહાદેવના મંદિરમાં સાધુવેષધારી છચ્છરને પોતાના વિજયની વાત સંભળાવવા માટે રોકાયા હતા અને તે વેળાયે આલૈયાજી પણ ત્યાં આવેલો હોવાથી ખેંગારજી તથા સાયબજીના અદ્‌ભૂત પરાક્રમની વાત તેણે પણ સાંભળી હતી; માત્ર એટલું જ નહિ, પણ સુલ્તાન બેગડાએ પોતાની રાજચિન્હાંકિત મુદ્રિકા આપીને તે ઉભય બંધુઓને બીજા દિવસના દરબારમાં પધારવાનું આમંત્રણ કર્યું હતું, એ કથા સાંભળીને તો અલૈયાજીના આનન્દનો પરમાવધિ જ થઈ ગયો હતો. અર્થાત્ ખેંગારજી તથા સાયબજી જ્યારે છચ્છર પાસેથી પોતાના નિવાસસ્થાન પ્રતિ જવાને રવાના થયા તે વેળાએ અલૈયાજી પણ તેમની સાથે જ હતો. પરંતુ જ્યારે તેઓ 'ભદ્ર' પાસે આવ્યા એટલે અલૈયાજી તેમની આજ્ઞા લઈ તેમનાથી જૂદો પડીને-સુલ્તાનના મહાલયમાં ચાલ્યો ગયો અને ખેંગારજી તથા સાયબજી પોતાના નિવાસસ્યાનમાં જઈ પહોંચ્યા. જે વેળાયે અલૈયાજી સુલ્તાનના મહાલયમાં ચાલ્યો ગયો અને ખેંગારજી તથા સાયબજી પોતાના આગારમાં જઈ પહોચ્યા તે વેળાયે દિવસના ત્રણ પ્રહર વીતી ચૂક્યા હતા અને ચતુર્થ પ્રહરનો આરંભ થયેલો હોવાથી સંધ્યાના આગમનમાં વિશેષ વિલંબ નહતો.

* * * * *

"પ્યારી બેગમ આજે પરવરદિગારના ફજલો કરમથી પેલો જાલિમ શેર માર્યો ગયો છે અને આપણી રૈયતની પીડા ટળી ગઈ છે પરંતુ આજે તે શેરનો શિકાર કરવા જતાં મારા પોતાના જીવનું જોખમ થવાનો વખત આવી લાગ્યો હતો અને એ પેલા બે અજ્ઞાત ક્ષત્રિયકુમારોએ આવી તે શેરને મારી નાખીને મારો બચાવ ન કર્યો હોત, તો અત્યારે તો મારી લાશને આપણા સરખેજમાંના મકબરામાંની કબ્રમાં દફનાવવાની કદાચિત તૈયારીઓ ચાલતી હોત; કારણ કે, શેરના પોકારથી આપણા સઘળા સિપાહીઓ ભાગી ગયા હતા અને શેર હાથીની સૂંઢપરથી ઉપર ચઢી આવીને મારાપર પોતાના પંજાને ચલાવવાની તૈયારીમાં હતો, પરંતુ એટલામાં જાણે ખુદાતાલાએ પોતે જ કોઈ ફરિસ્તાને મારી મદદે મોકલ્યા હોયની ! તેવી રીતે બે અશ્વારોહી તરુણ ક્ષત્રિયકુમારોએ અયાનક