આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
પલાયન

"અમદાવાદના બાદશાહ પાસે. ત્યાં કુમારોને સારો આશ્રય મળી શકશે, એવી મારી ધારણા છે.” રાણીએ જવાબ આપ્યો.

“બહુ સારું.” છચ્છરે કહ્યું, અને એમ કહેતાંની સાથે તરત જ તેણે સાંઢણીને મારી મૂકી. જોતજોતામાં તે કુમારો સહિત અદૃશ્ય થઈ ગયો અને અજાજી તથા તેની રાણીના મનમાં કુમારોના વિયોગથી શોક તથા તેમના સંરક્ષણના વિચારથી એક પ્રકારનો આનન્દ થવા લાગ્યો. કુમારોના ગયા પછી જામ હમ્મીરના સ્વર્ગવાસના સમાચાર આપવામાટે તેમણે એક માણસને લાખિયાર વિયરા તરફ રવાના કરી દીધો.

*****

સૂર્યોદય થયો અને રાત્રિની ઉદ્યમહીન સૃષ્ટિ પુનઃ ઉદ્યોગમાં પ્રવૃત્ત થયેલી દેખાવા લાગી. લગભગ અર્ધપ્રહર દિવસ ચઢી ગયા પછી અચાનક કેટલાક શસ્ત્રધારી મનુષ્યો અજાજીના મહાલય પાસે આવી લાગ્યા અને પોતાના અશ્વોને ઊભા રાખીને તેઓ નીચે ઊતરી પડ્યા. માત્ર એક તેમના નાયક જેવો દેખાતો જે પુરુષ અદ્યાપિ અશ્વપર જ બેઠો હતો તેણે પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કેઃ “અજાજીને બોલાવો અને કુમારોની માગણી કરો.” વાંચકોએ અહીં જાણવું જોઈએ કે એ નાયક બીજો કોઈ નહિ, પણ ક્રૂર નરઘાતક ચામુંડરાજ જ હતો.

સિપાહીઓએ અજાજીને બહાર બોલાવ્યો અને પૂછ્યું કે: "હમ્મીરના બે કુમારો ખેંગારજી અને સાયબજી ક્યાં છે ? અમને તેમનાં મુખ બતાવો.”

“કારણ?” અજાજીએ સામે સવાલ કર્યો.

"કારણ અમારા સરદાર જણાવશે,” એમ કહીને તે સિપાહીઓ અજાજીને ચામુંડરાજ પાસે લઈ આવ્યા અને કહેવા લાગ્યા કે: “સરદાર સાહેબ, આ ઠાકરડો કુમારોને બતાવવાનું કારણ જાણવા માગે છે, માટે એને કારણ કહી સંભળાવો.”

“અજાજી, જામ હમ્મીરજીને મારી નાખીને જામ રાવળજી કચ્છના રાજા થયા છે અને તેમની આજ્ઞાથી જ અમે કુમારોને લેવામાટે આવ્યા છીએ. રાજાની આજ્ઞા એ જ કારણ. તમારે રાજાની આજ્ઞાને માન આપવું જ જોઈએ.” ચામુંડરાજે જોહાકી હુકમ ફર્માવીને કહ્યું.

“રાજાની આજ્ઞા અમને શિરસાવંદ્ય છે. કુમારો હમણાં અહીં જ રમતા હતા, પણ અહીં જોવામાં નથી આવતા એટલે જણાય છે કે રાણીવાસમાં પોતાની માસી પાસે ગયા હશે. હું તેમને હમણાં જ