આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ

આ પ્રસંગને ઉદ્દેશીને કચ્છી ભાષામાં જે એક સોરઠો લખાયલો છે તે આ પ્રમાણે:—

"કારો ઘોડો જુવાર, થિયો સમે કે સુકન હી;
માતા કિયો સવાર, ખુશી થઈ ખેંગારતે*!"[૧]



સપ્તમ પરિચ્છેદ
એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ

प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रैव यांत्यापदः” भर्त्तृहरिः

ગત પરિચ્છેદમાં વર્ણવ્યા પ્રમાણે આપણા એ ત્રણ પ્રવાસીઓ પાસે વાટખર્ચીમાટે એક ફૂટી બદામ પણ હતી નહિ અને માર્ગમાં ભોજન આદિની વ્યવસ્થામાટે થોડા ઘણા પૈસા તો અવશ્ય જોઈએ જ; કારણ કે, એ સાધન વિના જરાય ચાલી શકે તેમ નહોતું જ. છચ્છર પાસે અફીણ રાખવાની રૂપાની એક ડબ્બી હતી, તેને પણ તેણે વેચી નાખી અને જાર બાજરીના રોટલાપર ગુજરાન કરતા એ પીડિત પ્રવાસીઓ જેમ તેમ કરીને એક વારના ધ્રાંગધરા નામક નગરની સીમામાં આવી પહોંચ્યા અને નગર બહારની એક ધર્મ-શાળામાં વિશ્રાંતિ લેવામાટે બેઠા.

"છચ્છર કાકા, હવે આપણે શું કરવું ? આપણે પારકા પરદેશમાં આવ્યા છીએ, અમદાવાદ હજી ઘણું દૂર છે અને ખર્ચી ખૂટી ગઈ છે એટલે આપણાથી હવે આગળ કેમ કરીને વધી શકાશે વારૂ ? આપણી પાસે એવી કોઈ વસ્તુ પણ રહી નથી કે જેને વેચીને એક બે દિવસ પણ આપણે નિર્વાહ આપણે ચલાવી શકીએ. હવે આપણી ખરેખરી દુર્દશા થવાનો જ સમય આવી લાગ્યો છે.” ખેંગારજીએ છચ્છરને ઉદ્દેશીને કહ્યું.

“કાકા, હવે આપણે ખાવાનું ક્યાંથી લાવીશું? મને તો અત્યારે જ ભૂખ લાગી છે." નાના કુમારે કરૂણોત્પાદક ઉદ્‌ગાર કાઢ્યો.



  1. * એનો ભાવાર્થ એવો થાય છે કેઃ “સમા (પ્રથમ કચ્છના રાજા સમા કહેવાતા અને પછીથી જાડેજા કહેવાયા હતા એટલે અહીં તેમના મૂળ ક્રમ-નામનો ઉલ્લેખ કરેલો છે) ને કાળા ઘોડા અને જુવારના શકુન થયાં. માતાજી-જગદંબા-એ ખેંગારજીપર પ્રસન્ન થઈને તેને સવાર (ઘોડેસવાર) બનાવ્યો"
    આ સોરઠાનો પાઠ અન્ય પુસ્તકામાં બીજી રીતે પણ આપેલો છે, પરંતુ તે અશુદ્ધ હોવાથી અહીં આપ્યો નથી. !”