આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૯૪ ]


મને લાગ્યું કે જો હિંદુસ્તાન આઝાદ હોત અને પોતાનું સંરક્ષણ સંભાળી શકે તેવી સ્થિતિમાં હોત તો એના સીમાડા ભેદવાનો વિચાર કોઈ આક્રમણકારને આવી શક્યો ન હોત. મોહનસીંઘે ઊભી કરવા ધારેલી આઝાદ હિંદ ફોજમાં હિંદુસ્તાન માટે મેં એક નવી આશા ભાળી. મને લાગ્યું કે જો એક બળવાન અને સ્વૈચ્છિક રાષ્ટ્રીયફોજ ઊભી કરી શકાય તો એ હિંદને પરદેશી હકૂમતમાંથી મુક્ત કરી શકે એટલું જ નહિ પણ જો જાપાનીઓ પોતાના વચનનો ભંગ કરે અને આઝાદી જીતવામાં અમને મદદ કરવાને બદલે અમારા દેશનું પોતાના લાભને ખાતર શોષણ કરવા માંડે તો એમનો પણ સામનો કરી શકે. આવી ફોજ, દૂર પૂર્વમાંના અમારા હિંદી ભાઇ-બહેનોનું પણ બીજા રાષ્ટ્રની પ્રજાના હુમલા સામે રક્ષણ કરી શકે. હિંદમાતા જાણે મને સાદ કરી રહી અને એ સાદનો જવાબ દેવાને અને મોહનસીંધ સાથે ઝંપલાવવાનો મેં નિર્ણય કર્યો. સુભાષ બોઝ નીચેની બીજી આ૦ હિં૦ ફો૦માં રહેવાનો નિર્ણય પણ મેં તે પછી કરેલો.

મારી જાણમાં છે ત્યાં સુધી આ૦ હિં૦ ફો૦માં જોડાવા માટે કોઈ યુદ્ધકેદી ઉપર દબાણ કે બળજબરી વાપરવામાં આવ્યાં નથી. ખરી રીતે તો એવા ઉદ્દેશ માટે દબાણ કે બળજબરી વાપરવાનું સાવ બિનજરૂરી હતું કારણકે અમારી પાસે હંમેશાં વધારાના સ્વયંસેવકોનો એક મોટો જથ્થો ફાજલ રહેતો હતો કે જેમને સરંજામના અભાવે અમે હથિયાર પૂરાં પાડી શકતા નહોતા અને તાલીમ આપી શકતા નહોતા.

મેં કરેલા બધાં ભાષણોમાં મારા શ્રોતાઓને મેં કહેલું કે તમને તમારા દેશ ઉપર પ્રેમ હોય અને એને ખાતર દરેક જાતની મુસીબતો અને યાતનાઓ સહન કરવાની તૈયારી અને તાકાત હોય તો જ ભરતી થજો. લડાઈમાં ઊતરતી વેળાએ મારા હાથ નીચેના માણસોને મેં ફરીવાર ચેતવ્યા હતા. કેટલાક અફસરોએ અને સિપાહીઓએ પોતાની