આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૭ ]



ભળી ગયેલ. મહમ્મદ હુસેનને ઠાર મારવામાં આવ્યા ત્યારે પોતે ત્યાં હાજર હતા, એના મૃતદેહમાં ત્રણ ગોળીઓ વાગેલી પોતે જોઈ હતી, પણ અંધારું થઈ જવા આવ્યું હોવાથી એ શરીરમાંથી કાંઈ લોહી નીકળતું જોયું નહોતું એમ એમણે કહ્યું.

તે પછીના સાક્ષી હતા તબીબી ઓર્ડરલી અબ્દુલ હાફિઝખાન. એક દરદીને એ પોપા વિસ્તારમાંની ઇસ્પિતાલમાં લઈ જતા હતા ત્યારે એક નાળામાં મેજર ધિલન અને બીજા કેટલાક માણસોને એણે જોયેલા. એમની સાથેના ચાર માણસો ખાઈમાં ઊભા હતા. ઇસ્પિતાલમાંથી નીકળ્યા બાદ એ જગ્યાએ સાક્ષી ગયા ત્યારે એમણે મેજર ધિલનને ખાઈમાંના માણસોમાંના એક પછી એકને બોલાવતા જોયા. એમને ઠાર મારવા માટે મેજર ધિલને માણસોને બોલાવ્યા. શેરસીંઘ, કાલુરામ અને હિદાયતુલ્લા નામના માણસો આગળ આવ્યા. મેજર ધિલને એક કેદીને બોલાવ્યો અને હાજર રહેલા સૌને કહ્યું કે આ ચાર માણસો નાસીને દુશ્મનની છાવણીમાં જતા રહેતા પકડાયા છે. એટલે એમને મોતની સજા આપવાની છે. મેજર ધિલનના હુકમથી વારાફરતી ચારેય કેદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તે પછી સાક્ષીએ એ ચારને જોયા હતા, પણ એ હજી મરી ગયા નહોતા, કારણ કે એ હલતાચાલતા હતા. તે પછી મેજર ધિલનના હુકમથી શેરસીંઘે એમાંના દરેક કેદી ઉપર એક-બે ગાળીઓ છોડી, અને પછી એક દાક્તરે જાહેર કર્યું કે એમનું મોત નીપજ્યું છે. ગોળીએ દેવાયેલા ચાર માણસો જાટ હતા, તેથી વિશેષ સાક્ષીને કાંઈ માહિતી છે નહિ. આખો બનાવ અરધા કલાકમાં ખતમ થયેા હતેા. એ બનાવ ક્યારે બન્યો તેની તારીખ, અઠવાડિયું કે મહિનો સાક્ષી કહી શકે તેમ નથી. એ બનાવ પછી પંદરેક દિવસે સાક્ષી હિંદી લશ્કરની એક ગુરખા રેજિમેન્ટ સાથે મળી ગયેલ.