આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
લીલુડી ધરતી
 


‘નાનપણમાં કોઈનાં માતાપિતા મરશો નહિ...’

હવે કેટલાંક મોટેરાંઓને આમાં સમજણ પડી. ‘આ તો ઓલ્યાં આસરમવાળાં લાગે છે... માબાપ વિનાના...’

‘પરાર્યની સાલ ફાળો ઉઘરાવી ગયાં’તાં, ને પંચાઉના લાડવા જમી ગ્યાં’તાં ઈ માંયલાં જ.’

‘ઓલ્યાં નડિયાદ કોર્યથી આવ્યાં’તાં ઈ જ કે બીજા ?’

‘ઈ નંઈ તો ઈનાં ભાઈયું હશે. નડિયાદનાં નંઈ તો ડાકોરનાં.’ પાણીશેરડે રાબેતા મુજબ ચાલતું નિંદા અને કૂથલીપર્વ અત્યારે એકાએક કરુણાપર્વમાં પલટાઈ ગયું.

‘અરરર બાઈ ! આ તો સાવ નધણિયાતાં છોરું બચાડાં... એને મારું કહેનારું કોઈ નંઈ...’

‘બીજા હંધા ય દુઃખ ખમાય, પણ માબાપના વિજોગનાં દુઃખ કેમ ય કર્યાં ન ખમાય.’

ગુંદાસરમાં સર્વજ્ઞ ગણાતી વખતી ડોસીએ સરરર કરતો ઘડો કૂવામાં ઉતારતાં વાતને એક નવો વળાંક આપ્યો :

‘આ હંધાં ય છોકરાંનાં માવતર કાંઈ મરી પરવાર્યા કંઈ નંઈ હોય. ઘણાયની માવડિયું જીવતી હશે, ને બાપ પણ બેઠા હશે.’

‘તો પછી છતે માવતરે જણ્યાંવને આસરમમાં શું કામે મેલતાં હશે ?’ એક અબૂજ વહુવારુએ કુતૂહલ વ્યક્ત કર્યું.

‘મેલવાં પડે.’ વખતી બોલી, ‘હજાર કારણે મેલવાં પડે. તેં હજી દુનિયા નથી જોઈ, એટલે ક્યાંથી ખબર પડે ?’

‘અરરર ! ઈ માવડિયું નાં કાળજાં લોઢાનાં જ હશે ને નીકર, પેટનાં જણ્યાં આમ પારકાં હાથમાં સોંપતાં જીવ કેમ કરીને હાલે ?’

‘પાપ ઢાંકવાં હોય તો હંધુ ય કરવું પડે.’ વખતી ડોસીએ કહ્યું.

પાણીશેરડે હજી તો આ કરુણ રસની પૂરેપૂરી જમાવટ થાય એ પહેલાં તો પેલું વાદકમંડળ કૂવાની લગોલગ આવીને ઊભું રહ્યું.

‘નાનપણમાં કોઈનાં માતાપિતા મરશો નહિ...’