આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
લીલુડી ધરતી
 


બિયારણ ઘરમાં જ પડ્યું રહે એ શું કામનું ?”

‘ઈ તો અવસર ચૂક્યા મેહુલા જેવું. કારતક મહિને કણબી ડાહ્યો થાય એ શું કામનો ?’

વીજળીના શિરોટા જેવો જ વિચાર હાદા પટેલના ચિત્તમાં પણ ઝબકી ગયો : અબઘડીએ જ વાવણાં કરવાં પડશે. આ તો ઈશાની વીજળી ઝબકી ગઈ. આજના ગિરનારી મેઘનો લાભ ન લેવાય તો આખું ય વરસ નકામું જાય. આજે એ મન મેલીને વરસી જાશે ને પછી મહિનોમાસ કોરો ધાકોર જશે...ઈશાની વીજળી અંગેની વિખ્યાત વાયકા પણ હાદા પટેલને યાદ આવી ગઈ : એક દુકાળ વરસમાં એક ખેડૂત વખાનો માર્યો પરગામના વેપારીને ત્યાં કઢારે કઢાવવા ગયેલો. સાથે પોતાનો પુત્ર હતો. પણ માઠું વરસ હોવાથી બજારમાં અનાજના ભાવ આસમાને પહોંચેલા. પણ ખેડૂતે તો એ ખરીદ કર્યા વિના છૂટકો જ નહોતો. વેપારીએ માગ્યા એ ભાવ ખેડૂતે કબૂલ કરવા પડ્યા. માલ જોખાયો. પૈસા ચૂકવવાના બાકી હતા ત્યાં તો ઈશાન ખૂણામાં વીજળી ઝબકી. પુત્રે પિતાને સાનમાં સમજાવ્યું : ‘બાપા, ઈશાની !’ પિતા સમજી ગયા. હવે આવું મોઘુંદાટ અનાજ લેવાની જરૂર નથી. ખરીદીમાંથી છટકી જવા ખેડૂતે બહાનું બતાવ્યું કે કેડે રૂપિયાની વાંસળી બાંધવી જ ભૂલી ગયો છું. અને બાપદીકરો હજી તે પોતાને ગામને પાદર પહોંચ્યા એ પહેલાં તો વરસાદમાં માથાબોળ નાહી રહ્યા. ત્યારથી આ કહેવત પ્રચલિત થઈ ગઈ : બાપા ઈશાની ને વાંસળી વિસારી...

હાજર રહેલા ઘરડેરાઓએ આ કહેતીનું પુનરુચ્ચારણ કર્યું અને સાથે એ યાદ પણ આપ્યું કે અમારી સાંભરણમાં તો ઘણી ય વારે ભીમઅગિયારસનાં વાવણાં થયાં છે.

પણ તો પછી સાથરે સુવડાવેલા આ મડદાનું શું ? એની અંત્યેષ્ટિક્રિયાનું શું ?

‘એને ઢાંકી રાખો !’ એકી અવાજે સુચન થયું.