તેલપળી કરનારો આ સામાન્ય હાટડીદાર પણ ગામના સમગ્ર જીવનવ્યવહારમાં કેવો તાણાવાણાની જેમ વણાઈ ગયો છે !’
અને તેથી જ તો એ માણસની ખોજમાં ગામનાં આબાલવૃદ્ધ સહુ શામિલ થયાં હતાં. મૂળગર ઉપરાંત બીજા જુવાનિયાઓ પણ અંધારી ઊંડી વાવમાં ઊતરી ઊતરીને જાનને જોખમે પણ ગિધાની ગોત કરી રહ્યા હતા. આમાં એક માત્ર માંડણિયાની જ ગેરહાજરી હતી. મુખીને એ યાદ આવતાં એમણે ગોબરને પૂછ્યું :
‘એલા, માંડણિયો કાં કળાતો નથી ?’
‘એનો હમણાં ક્યાં નેઠો છે ? ઈ તો બે દિ’ ગામમાં રિયે છ ને તણ્ય દિ’ ગાંમબારો રઝળે છે.’
‘ક્યાં રઝળે છે ?’
‘રઝળુનાં તી કાંઈ ઠેકાણાં હોય ? ગ્યો હશે રાણપર ઢાળો.’
‘રાણપર ? ત્યાં વળી શું ડાબલો દાટ્યો છે ?’
‘દૂદા ભગતની વાડીએ પડ્યો હશે – ગાંજાની ચલમું ફૂંકતો.’
‘ઈય માળો સાવ મગજ ફરેલ નીકળ્યો ! ખરે ટાણે ય ગામમાં નથી રે’તો !' કહીને મુખીએ વસવસો વ્યક્ત કર્યો. ‘અટાણે હાજર હોત તો આ ગિધાની ગોતમાં હાથ દેત ને ?’
સાંભળીને ગોબરને જરા હસવું આવ્યું, ‘ઈ ઠૂંઠો માણસ શું હાથ દેવાનો હતો ? ઓણ સાલ એની પંડ્યની વાડીમાં વાવ્યનાં પાણી ઊંડાં ગ્યાં છ, તી એનો ગાળ કાઢવાનું ય એનું ગજું નથી. હું ને અરજણિયો થઈને એનો ગાળ ઉલેચશું, તંયે થાશે.’
સાંજ પડી. સૂરજ આથમ્યો. ગોરજ ટાણા સુધી ગિધાની ગોત ચાલી, પણ ક્યાંય પત્તો ન લાગ્યો.
અરતીફરતી સીમના એકેએક અવાવરૂ તેમ જ વાવરુ વાવકૂવાનાં પાણી ડહોળાઈ–ડખેાળાઈ ગયાં, પણ ગિધાનું ક્યાંય નામનિશાન ન મળ્યું. એને સાટે જેની જરૂર નહોતી એવી સંખ્યાબંધ ચીજો હાથ આવી : લોખંડી મીંદડીના આંકડિયામાં ભરાઈ ભરાઈને ભાંગેલાં