આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાણી ડહોળાયાં
૨૭૫
 


બકડિયાં, તગારાં, બેત્રણ ઇંઢોણીઓ, એક ઘડો, એક કટાઈ ગયેલી કોદાળી વગેરે વણખપની વસ્તુઓનો ખાસ્સો ઢગલો થયો. દિવસ આખો વિવિધ વાવકૂવામાં ડૂબકીઓ મારી મારીને મૂળગર જેવો ઉસ્તાદ તરવૈયો પણ બશેર–અઢીશેર જેટલું પાણી પી ગયો અને બદલામાં ઊંડા કૂવાઓનાં તળિયાંના કાદવમાંથી એક બાવડાસાંકળી, બે સડી ગયેલાં બલોયાં અને એક રૂપાનો કંદોરો હાથ કરી આવ્યો.

પણ અત્યારે તો માણસ જેવા માણસની ખોટ પડી હતી, એમાં આવા સોનારૂપાની શી વિસાત ? ‘આ તો મારી જ સાંકળી’ પાણી સીંચતાં પડી ગઈ’તી.’ ‘કૂવામાં બાજોટિયો માર્યો તયેં મારો કંદોરો નીકળી ગયો તો,’ એવા એવા દાવા રજૂ કરનાર આ દાગીનાના સહુ માલિકોને મુખીએ હાંકી કાઢ્યા. ‘આ માલ તો મૂળગરે જીવનું જોખમ ખેડીને કાઢ્યો છે, એટલે મૂળગરને જ આપું છું, આમે ય આજે આખો દિ’ એણે બીડી નથી વાળી એટલે એનું દનિયું ભાંગ્યું છે ને વળી બચાડો નાકેમોઢેથી પાનશેર પાણી પી ગ્યો છે એટલે આટલા દાગીના મૂળગરના મહેનતાણાના.’

‘આ તો ગિધાની ગોતમાં મૂળગરને મજો થઈ ગયો.’ ઘરેણાંના માલિકોએ ફરિયાદ કરી.

 ***

પાદરમાં અંધારાં ઊતર્યાં એટલે રઘો અને મુખી નિરાશ થઈ ગામમાં પાછા આવ્યા.

ઝમકુનું આક્રંદ વધારે ઉગ્ર બન્યું. આખી રાત એ લાંબા લાંબા ઠૂઠવા મૂકીને ધ્રૂસકે ધ્રૂસકે રોતી રહી અને એ રુદન સ્વર સાંભળીને અરધું ગામ પણ ચિંતાતુર બનીને જાગતું જ રહ્યું.

રાત આખી રાણપુરામાં દૂદા ભગતની વાડીએ ભજનમંડળીમાં બેસીને અને સેંથકનો ગાંજોચરસ કૂંકીને માંડણિયો વહેલી સવારે ગામમાં આવ્યો ત્યારે એણે એક સમાચાર આપ્યા :

‘ભજનમંડળીમાં બેઠેલો એક બાવો વાત લાવ્યો છે કે વાઘેસરના