આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
લીલુડી ધરતી
 

સાત થયા.

ડોસાના વિષાદપૂર્ણ ચહેરા પર પ્રસન્નતાની ઝલક આવી ગઈ. એની ભક્તિભાવયુક્ત નજરે માતાની મૂર્તિ પર સંમતિસૂચક સ્મિત વાંચ્યું.

અને પછી હાદા પટેલે એટલા જ મુગ્ધભાવે બીજો એક પ્રશ્ન નિવેદિત કર્યો :

‘મા ! દેવશીને ઘર છોડી ગયાને હવે બાર બાર વરસ થવા આવ્યાં. કાનેસર ગોર કહે છે કે હવે એનું શ્રાદ્ધ–સ્મરણું કરી નાખવું જોઈએ. પણ સગા દીકરાને જીવતે જીવ એનું પૂતળું કરીને અંગૂઠે આગ મેલતાં મારો જીવ નથી હાલતો. મને પાકો વશવા છે કે દેવશી હજી મરી નથી ગયો, આજે નહિ તો વરસે, બે વરસે, પાંચ -દસ વરસે પણ કોઈ વાર દેવશી પાછો આવશે કે નહિ ?... મા ! તમને જેવું સૂઝતું હોય એવું કહેજો, ને ચોખ્ખો જવાબ ભણજો...”

ફરી એમણે જુવારની ઢગલીમાંથી ચપટી ભરી અને જવાબ જાણવાની ઉત્સુકતાથી દાણા ગણી જોયા. પણ આ વેળા એમના મુખ ઉપર પેલી પ્રસન્નતાની ઝલક ન આવી શકી.

‘દાણા ચેખ્ખા નથી આવતા.’ એમ કહીને હાદા પટેલે નિસાસો નાખ્યો.

દેરીમાં મૂર્તિ તરફ તાકીને મન–શું ગણગણ્યા : ‘મા ! હજી હોંકારો નથી ભણતાં... શું થયું હશે દેવશીનું ? મને તો દીવા જેવું સુઝે છે કે છોકરો પાછો આવશે જ. મા ચોખ્ખી હા નથી ભણતાં. સાચી વાત શી હશે ? દેવશી જીવતો હશે કે નહિ ? જીવતો હશે તો એને આજ નહિ તો જાતે જન્મારેય ગુંદાસરની સીમ નહિ સાંભરે ? આ ગલઢો બાપ, પોતાની પરણેતર, કાંઈ કરતાં કાંઈ નહિ સાંભરે... કે પછી છોકરો મરી પરવાર્યો હશે ? કાનેસર ગોર તો કહે છે કે સાસ્તરમાં બાર વરસમાં અવધ બાંધી છે. બાર વરસ સુધી ન આવે એના નામનું સાચે જ નાહી નાખવાનું ? હાય રે હાય ! અણદીઠ્યાં