વળતે દિવસે કાશીથી વેદ ભણીને આવેલા પંડિતનો વેશ કાઢ્યો. ગુંદાસરની સાંકડી બજારમાં શિખાધારી ત્રણ શાસ્ત્રજ્ઞો ગીર્વાણગિરાની અસ્ખલિત ધારા વહાવી રહ્યા. અભણ ખેડૂતો સમક્ષ તો આ ભેંશ આગળ ભાગવત જેવો ઘાટ થઈ ગયો, છતાં ભોળુડાં ગામલોકોને કલ્પના પણ ન આવી કે આ સાચા પંડિતો નહિ પણ બહુરૂપી છે. ખેડૂતોએ તો માત્ર આટલી જ ટકોર કરી : ‘આ માઠા વરહમાં કાશીમાં ય દાણાનો દકાળ હશે તી આવા વેદવાનને ઠેઠ આયાંકણે માગવા આવવું પડ્યું—’
ત્રીજે દિવસે ત્રણ ફકીરો હાથમાં ભિક્ષાપાત્ર લઈને ‘દે ઉસકા ભલા, ન દે ઉસકા ભી ભલા !’ કરતા ઊભી બજારે નીકળ્યા ત્યારે લોકોને વહેમ ગયો કે રોજ ઊઠી ઊઠીને ત્રિપુટીમાં જ નીકળતી આ વ્યક્તિઓમાં કશોક ભેદ છે. જમાનાના ખાધેલા ઓઘડભાભાએ ઈશારો કર્યો કે આ સાચા ફકીર નથી, ત્યારે લોકોને શંકા ગઈ કે રખેને આ બહુરૂપી હોય !
‘સાંઈ ! જુસ્બા ઘાંચીને ઘેરે જાવ, સાંઈ !’ કોઈએ વેશધારીઓની મજાક કરી.
અને ત્યારે જ બહુરૂપીઓ પણ મનમાં મલકી ઊઠ્યા : ‘આખરે આપણને ઓળખનાર નીકળ્યાં ખરા !’
બહુરૂપીઓ એાળખાયા ખરા પણ અપરિચિત લાગવાથી લોકો એમાંથી કશું મનોરંજન મેળવવાને બદલે એમનાથી ભડકતા જ ૨હ્યા.
‘આ વરહોવરહ આવે છે ઈ માંયલા નથી લાગતા—’
‘એની સિકલ જ કહી દિયે છે કે આ કો’ક પરદેશી છે.’
‘પરદેશી બહુરૂપીને આપણે શું કામે લાગો આપવો ? આનાં મોઢાં ભરશું તો ય ઓલ્યા કાયમવાળા તો આવીને ઊભા જ રે’શે, ને એને તો ના ય નહિ કે’વાય.’