આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
લીલુડી ધરતી–ર
 

 ભાંડભવાયા જેવા મુદ્દલ નો’તા લાગતા—’

‘બહુરૂપીનાં તો રૂપ જ અપરંપાર. ઈને ભાંડભવાયા જેવું દેખાવું કેમ કરીને પોહાય ?’

‘પણ તો પછી ઈ અજાણ્યા માણહ પોતાનાં કાયમનાં કળ મેલીને આપણા ગામમાં શું કામે ને માગવા આવ્યા ?’

‘એને ય બચાવડાને ભગવાને પેટ આપ્યાં છે ને ! આવા માઠા વરહમાં બે કળ વધારે માંગવાં પડે—’

‘પણ લાણી કે ખળાં થ્યાં મોર્ય ?’

‘ભઈ! કોઠીએ બાજરો વહેલેરો ખૂટ્યો હશે એટલે નીકળી પડ્યા હશે.’

પણ આમાંનો એકે ય ખુલાસો લોકોને ગળે નહોતો ઊતરતો. દિવસે દિવસે શંકાઓ વધારે ઘેરી બનવા લાગી. બહુરૂપીઓના ભેદી આગમને એવો ભય ઊભો કર્યો હતો કે એની સમક્ષ મેલડીના કોપનો ભય તો કશી વિસાતમાં ન રહ્યો. જીવા ખવાસે ગામની પાણિયારીઓને લીલી ઝંડી બતાવી દીધા પછી સહુ ગૃહિણીઓએ મંતરેલ પૂતળાંવાળા પિયાવામાંથી પણ ચૂપચાપ પાણી ભરવા માંડ્યાં હતાં. સંતુને ગામમાંથી હાંકી કાઢવાના તો હવે નથુકાકાના કે અજવાળીકાકીના ય હોશ નહોતા રહ્યા. રઘાએ હાથે કરીને વહોરેલી આત્મહત્યાથી સમજુબાને મહાસુખ થઈ ગયું હતું, અને ટાઢે પાણીએ ખસ ગઈ એવો આત્મસંતોષ તેઓ અનુભવતાં હતાં, ત્યારે બીજી બાજુ અમથીના અણધાર્યા આગમનથી ઠકરાણાંની ઊંઘ ઊડી ગઈ હતી. અને એમાં ય એક દિવસ અમથીએ ઊભી બજારે ગામની ગત પચીસીના સમાચાર પૂછતાં પૂછતાં માર્મિક પ્રશ્ન પૂછ્યો : ‘ક્યાં ગ્યો મારો શાદુળ ?’ ત્યારે તો એ પ્રશ્નમાંના ‘મારો’ શબ્દે સહુને ચોંકાવી મૂકેલા. એ વાતની જાણ થયા પછી તો સમજુબાની અસ્વસ્થતા અનેકગણી વધી ગઈ હતી.

એક દિવસ અંતરની વેદના અસહ્ય બનતાં ઠકરાણાંએ