અચરજ કોને કહેવું ? આ તે કોઈ પરીકથાનો કિસ્સો છે કે સાચી ઘટના ?
‘આ ઘરમાં આનાં અન્નજળપાણી લખ્યાં લાગે છે. ઈ વન્યા, વગડામાંથી આ ઊંબરે પાછું શું કામે આવે ? લઈ લ્યો !’ માંડણ વીનવી રહ્યો.
‘મા ! લાવ્ય ઝટ, પાછું લાવ્ય ઝટ !’ અંદરથી જડીએ ઉત્સુકતાભેર આજીજી કરી.
આ વખતે પુત્રીને ધમકાવી કાઢવાની અજવાળીકાકીમાં હિંમત રહી નહોતી.
હરીકેનની વાટ હજી ય વધારે સતેજ કરીને એમણે બાળક તરફ જોયું. ટચૂકડા ટચૂકડા હાથ હવામાં ઉલાળીને જાણે કે માતાની વત્સલ ગોદ એ માગી રહ્યું હતું.
‘લ્યો, આ તો દીકરી, એટલે લખમીમાતાનો અવતાર ગણાય.’ માંડણ હજી વીનવતો હતો. ‘આને જાકારો ન દેવાય. આને તો જલમતાંવેંત જ નવો જલમ જડ્યો એમ ગણો !’
અજવાળીકાકી શિયાંવિયાં થઈ રહ્યાં. માંડમાંડ બોલી શક્યાં :
‘આ.... આ..... પાછી કેમ કરીને આવી ?’
‘ભગવાને જ મોકલી એમ ગણોની ! ડાઘિયો મોઢામાં ઘાલીને આપણી ખડકી લગણ લઈ આવ્યો. જિવાડવાવાળો તો ઉપર હજાર હાથવાળો બેઠો છે ને !’
‘સાચે જ આને ડાઘિયો લઈ આવ્યો ?’ અજવાળીકાકીને હજી ય મનમાં સંશય હતો.
‘આ જુવોની ડિલ ઉપર ડાઘિયાની દાઢું ઊઠી આવી છે ઈ ! બચાડે પોચે દાંતે ઉપાડી હશે, તો ય ઈ તો કૂતરાની દાઢું. રાતાંચોળ ચાંભાં ઊઠી આવ્યાં છે છોકરીને !’
‘મુવો ડાઘિયો ! ઠેઠ હાથિયા પાણા લગણ મારી વાંહે ને વાંહે... વાંહે ને વાંહે... જરા ય ખહે નઈં રોયો !’