આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વસમો વેરાગ
૨૧૧
 

હંધી ય માલમિલકત હાદોકાકો સંભાળી લ્યે. હું ટાણું થ્યે આવી પૂગીશ.’

ઊજમ મારફત સંતુને આ ગુપ્ત સમાચારની જાણ થઈ ત્યારે એ વિચારમાં પડી ગઈ.

‘શું કામે માંડણ જેઠે આવો વેરાગ લઈ લીધો હશે ? ભજનમંડળીમાં બેસીબેસીને એને આ વેરાગ લાગ્યો હશે ?... માથું મુંડાવ્યું ઈ તો જાણે કે ઠીક; પણ “પાછો ટાણાસર આવી પૂગીશ” એમ કહેવરાવ્યું એનો અરથ શું ? કિયે ટાણે ઈ પાછા આવશે ?’

ઊજમને પણ આ રહસ્ય સમજાતું નહોતું. માંડણ પણ દેવશીને જ પગલે પગલે સાધુ થઈ ગયો કે શું ? દેવશીના તો જીવ્યામૂવાના કાંઈ વાવડ જ ન આવ્યા, પણ માંડણે ટાણાસર આવી પૂગવાનું કહેણ મોકલ્યું છે, એ કહેણ સાચું પડશે ખરું ? કે પછી આ ખોરડાને કોઈ એવો શાપ છે કે એના જણ ઘરનો ઉંબરો છોડે એ પાછો આવે જ નહિ ?

દિવસો સુધી સંતુ આ ઘટનાનું રહસ્ય ઉકેલવા મથી રહી. માંડણે ભરબજાર વચ્ચે નથુસોનીને સંભળાવેલું : ‘સંતુ તો મારી મા છે.’ એ વાક્ય એને યાદ આવતું રહ્યું, અને રહસ્ય ઉકેલાવાને બદલે વધારે ગૂંચવાતું રહ્યું.

માંડણ જેઠે મને ભરબજારે મા કહી છે એ સાચું હશે ? કે પછી ગામના દેખતાં એણે એવો દેખાવ કર્યો હશે ? એના મનમાં હજી ય કાંઈક મેલ તો નહિ ભર્યો હોય ને ? અટાણે તો વસમો વેરાગ લઈને બેઠા છે, પણ વળી ટાણાસર પાછા આવવાનું કિયે છે. તી આવીને વેરાગ ઉતારી નાખશે ? ભગવાં ઉતારીને પાછા સંસારી થાશે ? ને સંસારી થાશે તો વળી પાછા મારી ઉપર નજર માંડશે કે પછી મને તો સાચોસાચ માને ઠેકાણે જ ગણશે ?

આવી આવી ગૂંચો મગજમાં લઈને એક દિવસ સંતુએ ઢોર બાંધવાની ગમાણમાં પોતાનો ખાટલો ઢાળ્યો.

*