આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રથ ફરી ગયા
૨૨૯
 


થઈ આવે છે, તેથી એણે ધનિયાને કહ્યું :

‘આ તારું મુંઢકણું આ કોઢ્યમાંથી બાર્ય કાઢ્ય !’

‘પણ બાપુ ! ઈને બારું કાઢીશ તો કાબરી કથળી ઊઠશે, ને દો’વા જ નઈં દિયે—’

‘મર કથળી ઊઠે, ભલે દોવા ન દિયે.’ ઊજમે કહ્યું. ‘ઈ ગાભાએ જ સંતુને ગભરાવી મેલી છે. ઈ ને ભાળે છે ને મોઢામાંથી કાળું બોકાહું નીકળી જાય છે—’

ધનિયો એમ સહેલાઈથી સમજે એવો નહોતો. એણે મુંઢકણાની આવશ્યકતા અંગે પુષ્કળ દલીલો કરી.

‘કાબરીને ખબર્ય પડશે કે મારું વાછડું મરી ગયું છે તો પછી કોઈને ઢૂંકડાં આવવા જ નઈ દિયે. ભુરાઈ થઈ જાશે, મારકણી થઈ જશે. આજ તો શું, કોઈ કાળે ય દોવા નહિ દિયે. જેને ને તેને ઢીંકે લેતી થઈ જાશે; કાયમની વસૂકી જાશે.’

‘જી થાવાનું હોય ઈ મર થાય ! પણ મારે લાખ વાતે ય મુંઢકણું કોઢ્યમાં ન જોઈએ—’

‘પણ તમારી કોઢ્યમાં આ કાંઈ નવી નવાઈનું છે ? ગાયનું બચલું બગડી જાય તંયે મુંઢકણું તો મેલવું જ જોયેં ને ?’

‘પણ અમારા ઘરમાં તો ગાયના બચલાને માટે સંતુનું જીવતર બગડી ગ્યું એનું કેમ ? કાઢ્ય બાર્ય આ કોઢ્યમાંથી, નીકર હું પંડ્યે જ ઉપાડીને ઉકરડે નાખી આવીશ.’

‘એ... ના ના, ઊજમભાભી ! એવું ન કરતાં. ઉકરડે નાખી આવશો તો મારે રાત્યોરાત્ય ગાભાં ભેગાં કરીને ભૂધર મેરાઈ પાસે નવું વાછડું ભરાવવું પડશે. કાલ્ય સવારે કોઈ બીજે ઘેર જરૂર પડે તો—’

‘તો પછી ઉપાડ્ય ઝટ... સંતુને અડધી તો તારા આ મુંઢકણે ભટકાવી મેલી છે—’

ધનિયો એના મેલામસ મુંઢકણાને લઈને બહાર નીકળ્યો કે