જ છે ને ?’
‘કેમ ભલા, આ દુદા ભગતની વાડી મેલ્યા કેડ્યે ડોકામરડી આવશે ઈયાંકણે કોઈ વાટ બાંધીને ઊભાં હશે તો ?’
‘જી ઊભાં હશે ઈને હું હેમખેમ જવા દઈશ.’
‘તમે તો જાવા દેશો, પણ ઈ તમને શેના હેમખેમ જાવા દેશે ?’
‘ભલેની ન જવા દિયે ? એની સામે હું મારી છાતી ધરીને કહીશ કે લ્યો ફૂંકી મારો મને !’
સાંભળીને જુસબ મૂંઝાઈ ગયો. બોલ્યો : ‘રઘાબાપા ! તમારી આ રીત તો કાંઈ સમજાય એવી નથી.’
‘લે સમજાવું. જાતે ફેરે કોઈ મને રોકવા ઊભું હોત તો એને જીવતો ન મેલત, કારણ જાણછ ? —’
‘ના.’
‘જાતી ફેરે હું મરત તો મારી જુબાની આપવાની રૈ જાત, ને ઓલી બચાડી સંતુ ગુનેગાર ગણાઈ જાત. પણ હવે તો હું જુબાની આપીને આવ્યો છઉં. મારે કરવાનું હતું ઈ કામ તો પાર પાડીને પાછો વળ્યો છઉં. હવે મને જીવવાનો બહુ ઓરતો રિયો નથી. સંતુએ કોઈ કરતાં કાળું કામ નથી કર્યું'; એને માથે ઓઢાડેલું ગોબરને માર્યાનું આળ સાવ ખોટું છે; એવી ખખડાવીને સાઈદી આપી આવ્યો છું, એનો મને સંતોષ છે. આજે મારું જીવતર લેખે લાગી ગ્યું—’
બોલતાં બોલતાં રઘો હર્ષાવેશ અનુભવી રહ્યો હતો. પણ હવે તો એકાએક હર્ષોન્માદમાં એ બૂમ પાડી રહ્યો :
‘જુસ્બા ! આજે તારા આ રેંકડાના ફેરા ભેગો મારો ભવનો ફેરો ય ફળ્યો !’
અબુધ ગાડીવાન વિસ્ફારિત આંખે આ ગોર મહારાજની ઉન્માદાવસ્થા નિહાળી રહ્યો. આ આવેશ અને ઉન્માદની પાછળ રહેલો ભાવેદ્રિક સમજવા જેટલી આ ઘાંચીની શક્તિ નહોતી. પણ