આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
લોકમાન્ય લિંકન.
એમ લખાયું છે કે લિંકન જરાક ઉચ્ચતર સામાન્ય માનવી હતા. તેઓ સામાન્ય જનસમુદાયમાંથી આવેલા એટલે તેઓ મનુષ્યોની સમસ્યાઓ સમજતા અને દુ:ખ પ્રત્યે હમદર્દી ધરાવતા. એમના ચિત્તમાં એક સિદ્ધાન્ત ઊંડાં મૂળ નાખીને પડેલો કે પ્રત્યેક મનુષ્ય ઈશ્વરની દ્રષ્ટિમાં સમાન જ જન્મે છે અને તેને પોતાનું ભાવી ઘડવાની સમાન તક હોવી જોઈએ.
સહિષ્ણુતામાંની તેમની માન્યતાઓ, લોકશાહીની પ્રક્રિયામાં એમની શ્રદ્ધાએ, હક્ક માટે લડવાની તેમની તત્પરતાએ અમેરિકાવાસીઓની કેટલીયે પેઢીઓને પ્રેરણા આપી છે. માનવીની ભલાઈમાં તેમની શ્રદ્ધા જ અમેરિકાની માન્યતાના કેન્દ્રમાં રહેલી છે. લિંકનના જીવન ઉપર દૃષ્ટિપાત કરવો એ એક રાષ્ટ્રના આત્માની નજીક જઈ તેને સ્પર્શ કરવા સમાન છે.