આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૪
સહકારી મંડળીઓના ઈન્સ્પેક્ટર

એટલામાં પિતાશ્રીને નિવૃત્ત થવાની તારીખ નજીક આવવા લાગી. પિતાશ્રીના નિવૃત્ત થયા પછી પોતાની વકીલાત ઉપર અમદાવાદનું ઘર ચલાવવાનું ભારે પડે એટલે શું કરવું એના વિચારમાં પડ્યા. વૈકુંઠભાઈ મહેતા મુંબઈની સેન્ટ્રલ કોઑપરેટિવ બૅન્કમાં કામ કરતા હતા. સહકારી પ્રવૃત્તિનો એ આરંભ કાળ હતો. એ બૅન્કને ગામડાંની સહકારી મંડળીઓને નાણાં ધીરવાનાં હોય એટલે એ મંડળીઓનો વહીવટ બરાબર ચાલે છે કે કેમ તે જોવા માટે બૅન્કને પોતાના એક ઇન્સ્પેક્ટર રાખવાની જરૂર હતી. એટલે એમણે મહાદેવને એ કામ સૂચવ્યું. મહાદેવે એ કામ સ્વીકાર્યું અને ગુજરાત તથા મહારાષ્ટ્રની સહકારી મંડળીઓના નિરીક્ષણનું કામ તેમને સોંપાયું. એમના કામ વિષે વૈકુંઠભાઈ લખે છે : “જેમ બીજાં કામો તે દીપાવતા તેમ આ કામ પણ એમણે દીપાવ્યું હતું. જે મંડળીઓની મુલાકાત તેઓ લેતા—પછી તે ગુજરાતમાં હો કે મહારાષ્ટ્રમાં હો — તે મંડળીના કાર્યકર્તાઓ તથા સભાસદો સાથે બહુ મીઠા સંબંધ તેઓ બાંધી આવતા. મંડળીઓની પરિસ્થિતિ તથા તેના સભાસદોની જરૂરિયાત વગેરે બાબતનાં તેમનાં નિવેદનો માહિતીથી તથા કીમતી સૂચનાઓથી ભરેલાં હતાં એટલું જ નહીં પણ શૈલી અને ભાષાની દૃષ્ટિએ મનન કરવા લાયક થઈ પડતાં.

૬૧