આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
મહાન સાધ્વીઓ

અને રૂપથી મુગ્ધ થઈ ગયા. ઈ. સ. ૧૭૯૩ ની ૨૩ મી ડિસેમ્બરે એ રાજકુમારની સાથે લુઇસાનું લગ્ન થઈ ગયું.

લુઈસા રાણી થયાં. સ્વામીનો તેમના ઉપર બહુજ પ્રેમ હતો. એમના મનને સંતોષવા માટે રાજમહેલમાં પુષ્કળ ધન અને ઝવેરાત હતું. ધાર્યું હોત તો ધનગર્વિતા વિલાસી સ્ત્રીઓની પેઠે એ પણ સુખના મદમાં મસ્ત થઈને પોતાનું જીવન ગાળી શક્યાં હોત, ઈશ્વરને ભૂલી જઈને દુઃખીઓનાં દુઃખને વિસરી ગયાં હોત. પરંતુ બાલ્યાવસ્થાથીજ સારું શિક્ષણ મળેલું હોવાથી એમના હૃદયમાં અનુપમ ધર્મભાવ વિકાસ પામ્યો હતો. રાજમહેલનો વૈભવ એમના એ ધાર્મિક ભાવને ઝાંખા કરી શક્યો નહિ. એ ધર્મભાવને લીધેજ રાણી લુઇસા રાજસિંહાસને પણ બેસતાં અને દુઃખીઓને ઘેર જઈ તેમનાં આંસુ પણ લુછતાં. ગરીબોનાં અશ્રુ લૂછતાં તેમને કેટલો બધા આનંદ આવતો ! પરણ્યા પછી તેમણે પોતાની દાદીને લખ્યું હતું કે :–

“રાણી થઈને હું ગરીબોને મરજી પ્રમાણે સહાયતા આપી શકુ છું, એજ મારા જીવનનું સર્વશ્રેષ્ઠ સુખ છે.”

લુઇસાના લગ્ન પછી એક વાર તેમના સ્વામીએ કહ્યું “તને સાથે લઇ એક વાર હું મોટા ઠાઠ સાથે રાજમાર્ગ પર ફરવા નીકળીશ.”

રાણી લુઈસાએ સ્વામીનાં એ સ્નેહભર્યા વચનો સાંભળીને આનંદી મુખે ઉત્તર આખ્યો કે “વહાલા ! એટલું બધું નકામું ખર્ચ શા સારૂ કરશો ? એવા આમોદપ્રમોદથી શું લાભ ? એવા ખોટા ઠાઠમાં જે ખર્ચ કરવા ધારો છે તે વિધવા અને માબાપવગરનાં નિરાધાર બાલકબાલિકાઓનાં દુઃખ ટાળવામાં વાપરો તો કેટલુ સારૂં થાય ? હું તો એવાં પુણ્યકાર્યોથી જ સુખી થઈશ.”

રાણી લુઇસાને લગ્નસમયે બહુ કિંમતી વસ્તુઓની ભેટ મળી હતી. પરંતુ એમણે એમાંની ઘણી ખરી ગરીબ અને નિરાધાર દુ:ખીઓને વહેંચી દીધી હતી.

પરણ્યા પછી લુઈસાની વર્ષગાંઠ આવી. તેમના સ્વામીનો એમના ઉપર બહુજ પ્રેમ હોવાથી એમણે એમની વર્ષગાંઠ નિમિત્તે ગરમીમાં રહેવા લાયક એક સુંદર મહેલ બંધાવ્યો અને હસતે મુખે કહ્યું “તારે મારી પાસેથી બીજું કાંઈ જોઈતું નથી ?”

લુઇસા — “હા, જોઈએ છે.”

રાજા— “શું જોઈએ છે ?”