આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
મહાન સાધ્વીઓ

આજ તને રોવડાવું. જો રોવા માગતો હોય તો મારી શીતળ શાંતિમાં માથું મૂક તારાં નયનામાંથી ઝરો વહેવા માંડશે.”

“હે સખા ! જ્યાંસુધી તમે આખી પૃથ્વીના પતિત લોકોને હાથ પકડીને ઉઠાડો નહિ ત્યાં સુધી મારો હાથ ન પકડશો. જ્યાં સુધી તમે બધાં દુઃખીઓનાં આંસુ ન લૂછો છે ત્યાંસુધી મારાં આંસુ ભણી ઝાંખશો પણ નહિ. જ્યાં સુધી બધાનાં હૃદય ઉપર તમારું અમૃત ન છાંટો ત્યાં સુધી મારું હદય પણ ભલે રેતાળ મરુભૂમિ બન્યુ રહે; તમારી કરુણાની જરૂર નથી. હે પ્રભુ ! એ પતિતો શું નહિ ઉઠવા પામે ? એ આંસુ ઢાળનારાઓને ધીરજ નહિજ મળે ? એ દુઃખીઆં અને દિલગીર મનુષ્યો શું નવો પ્રાણ નહિ પામે ? મારે તો પ્રભુ તું છે, પણ હે નાથ ! એ બિચારાંઓને કોણ છે ?”

“હે પ્રભુ ! મને અતિશય ઉંચું ગગનને અડકે એવું ઉજજડ પર્વતનું શિખર બનાવીશ નહિ; પણ મને નીચેનું હર્યુભર્યું સપાટ ખેતર બનાવજે, કે જેથી ભૂખ્યાઓ મારી પાસેથી અન્ન મેળવે. મને અપાર ખારો સમુદ્ર બનાવીશ નહિ; પણ તપી ગયેલી ધરણીમાંનુ નાનું ઝરણું બનાવજે, કે જેથી તરસ્યાં પ્રાણીઓ મારૂં જળ પીએ. વીર પુરુષના હાથમાં ઝગમગતી પાણીદાર તલવાર મને બનાવીશ નહિ પણ સાધારણ લાકડી બનાવજે, કે જેથી અંધ અને દુર્બળ મારો ટેકો મેળવે.”

રાબેયાના શેઠે બીજો દિવસ પણ ભૂખે ગાળ્યો. રાત્રે સ્વપ્નવશ, મંત્રમુગ્ધ થયેલા મનુષ્યની પેઠે તે પાછો રાબેયાની કોટડી પાસે જઈને ઉભો. રાબેયા એ વખતે પણ એકાગ્રચિત્તે પ્રાર્થના કરતી હતી. શેઠે કાન માંડીને સાંભળવા માંડ્યું:–

“હે પ્રભુ ! જો હું તને સ્વર્ગના લોભથી પુકારતી હોઉં તો એ સ્વર્ગ મારે માટે હરામ હોજો. જો નરકના ડરથી તને પુકારતી હોઉં તો હે પ્રભુ ! એ નરકજ મને મળજો.”

“જો તું સ્વર્ગ હોય તો હે પ્રભુ ! હું સ્વર્ગની ભિખારી છુ. જો તું નરક હોય તો હે પ્રભુ ! હું સદાકાળમાટે એ નરકના દ્વારમાં પ્રવેશવાની ભીખ માગીશ.”

“જે વખતે લાલચ આવીને મને મોહમાં નાખવા ચાહે છે તે વખતે હું રડી દઉં છું. દુઃખથી નથી રડતી, પણ અપમાનથી રડું છું. કારણ કે એ લાલચને શું ખબર નથી કે, મારા દોસ્ત તો પ્રભુ જાતે છે.”

બીજે દહાડે સવારે રાબેયાના શેઠે બધાં દાસદાસીઓને