આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૮
પરિશિષ્ટ


સુબાએ જોનના મામાને કહ્યું “અલ્યા ! આ ગાંડીને તારે ઘેર લઈ જઈ ખૂબ ફટકાવ. તેને માટે એજ ઉત્તમ ઔષધ છે.”

જોને પાછી વળતાં નમ્રતાથી કહ્યું:–

“તમે મને સિપાઈ નથી આપતા. શું કામ નથી આપતા, એ મને માલૂમ નથી. મને તો મારા સ્વામીનો હુકમ છે; માટે હું બીજી વખત પણ આવીશ, અને ત્રીજી વખત પણ આવીશ. મને તો ખાત્રી છે કે, છેવટે તમેજ મને સિપાઈઓ આપશો.”

આટલું કહી તે ચાલી ગઈ. જ્યારે તે ચાલી ગઈ ત્યારે બધા અજાયબીમાં ગરકાવ થઈ ગયા. નોકર-ચાકરોએ શહેરમાં એ વાત ફેલાવી, અને શહેરે આખા દેશમાં ફેલાવી. અમે અમારે ગામ આવ્યા, ત્યારે તો ગામમાં ઠેકાણે ઠેકાણે આ વિષય ચર્ચાતો હતો.

(૯)

જ્યાં જોઈએ ત્યાં મનુષ્યનો એનો એ સ્વભાવ. આપણને વિજય મળે, તો જગત આપણાં વખાણ કર્યા કરીને આપણને હદથી જ્યાદે ચઢાવી મૂકે છે. વળી એના એજ આપણે છતાં આપણો પરાજય થાય તો બસ, થઈ ચૂકયું. આપણામાં ખોડખાંપણ ન હોય, તો પણ કોણ જાણે ક્યાંથીએ તેઓ આપણામાં જાુએ છે ને આરોપે છે. ખરેખર દુનિયા અજબજ છે !

અમારા ગામના બધા લોકોને લાગ્યું કે, જોને પોતાના છોકરવાદી આચરણથી ગામને ઉતારી પાડ્યું હતું. જે લોકો જોનની કૂથલી ન કરતા, તે પણ હવે દરેક ગામમાં તેની મજાક કર્યા કરતા. કેટલાક તેના ગોઠીઆઓ તો તેની સાથે ચાલતાં પણ શરમાતા. કારણકે તેણે પોતાની બુદ્ધિને મોટો બટ્ટો લગાડ્યો હતો. જોન રોતી, પણ તે માત્ર જ્યારે એકલી હોય ત્યારે. લોકો આગળ તો તે ગંભીરજ રહેતી ક્રોધ પણ ન બતાવતી કે દુઃખ પણ ન બતાવતી. જોનનો પિતા તો તેની આવી વર્તણુંકથી લગભગ ગાંડોજ થઈ ગયો. તેનો એવો વિચાર હતો કે જોન સ્ત્રી જાતિની મર્યાદા મૂકીને રણમાંજ જાય, તો તો તેને ડૂબાવીજ દેવી.

પણ આથી કંઇ જોનનો નિશ્ચય ફર્યો નહિ. રખેને જોન ગામ છોડી નાસી છૂટે એવી ધારણાથી જોનનાં માબાપ તેના ઉપર ખૂબ જાપ્તો રાખતાં. પણ જોન નિરંતર કહ્યા કરતી કે, હજી વખત આવ્યો નથી, અને વખત આવશે ત્યારે બધો જાપ્તો નિરૂપયોગી થઈ પડી કંઈ પણ કામ લાગશે નહિ.