આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૭
વીર સાધ્વી જોન ઑફ આર્ક

 નથી. હું તેઓને સારી સલાહ આપીશ–બોધ કરીશ. તેમને મારી પાસે બોલાવો.”

જોને તેઓને બધું સમજાવ્યું. કાવત્રાંખોરો જોનનું આવું ઉદાર દિલ જોઈ આશ્ચર્ય પામ્યા અને શરમાઈ ગયા. છેવટે જોને તેઓના સરદારને બોલાવી દિલગીરી સાથે કહ્યું:–

“જ્યારે તારૂંજ મોત પાસે છે, ત્યારે બીજાની જીંદગી લેવા તું પ્રયત્ન કરે છે, એ ખરેખર દયા ખાવાજોગ છે.”

તેજ રાત્રે તે માણસના ઘોડાએ એક નદી ઓળંગતાં ઠોકર ખાધી, અને અમે મદદ કરીએ એ પહેલાં જ તે ડૂબી ગયો ! આ બીના બન્યા પછી એકે કાવત્રું રચાયું નહિ.

આ રાત્રે અમારા ઉપર ઘણા છુપા હુમલા થયા, તો પણ જેમ તેમ કરી અમે સહીસલામત નીકળી ગયા. તે પછીની રાત્રિ તે છેલ્લી રાત્રિ હતી. અમારું દૃષ્ટિબિંદુ હવે એકજ હતું કે, ધારેલી જગ્યાએ પહોંચવું. બરફ ખૂબ પડતો હતો, અને પવનના સૂસવાટા પૂરજોસમાં વાતા હતા. વળી વરસાદ પણ શરૂ થયો હતો. અમારા રસ્તામાં એક નાળું આવતું હતું. તેના પર જેવોતેવો લાકડાનો પૂલ હતો. અમને બીક હતી કે વખતે પૂર આવ્યું હોય અને આ પૂલ ભાંગી ગયો હોય. તો તો અમે સપડાયાજ સમજવા.

રાત્રિ વધવા લાગી, તેમ જંગલ પણ ઘાડું આવવા લાગ્યું. અમારા ઉપર હુમલા શરૂ થવા લાગ્યા ત્યારથી જોન બધાની આગળ ચાલતી. ચાર પાંચ ગાઉ અમે ગયા, એટલામાં એક ઝાડીમાંથી હુકમ આવ્યો કે “સબુર !”

અમે તાબે થયા. સામે કંઈક ઘોડેસ્વારની ટુકડી જેવું જણાતું હતું. એક માણસે અમારી સામે આવી જોનને કહ્યું:--

“કેપ્ટન ! આટલી બધી વાર કેમ લાગી? તમે તેને જોઈ?”

જોને ધીમેથી જવાબ દીધો: “હા, હજી તે પાછળજ છે.”

“વારૂ, મને બીક હતી કે તે આપણી આગળ નીકળી ગઈ છે એ હવે આપણો શિકાર છે. આપણે એને ફાંસીએ લટકાવીશું, પણ શું એ વાત સાચીજ છે કે તે માત્ર નાનકડી છોકરીજ છે ?”

“હા; માત્ર સત્તરજ વર્ષની, અને વળી શરીરે પાતળી. મેં જ્યારે તેને જોઇ, ત્યારે તે પોતાના એક અમલદાર સાથે વાત કરતી હતી. પોતે ભયંકર સ્થિતિમાં છે, એવું તે જાણતી હોય, એવું મને લાગ્યું નહિ.”