આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૧
વીર સાધ્વી જોન ઑફ આર્ક

કલગીનો એક તાંતણો લઈ કહ્યું :

“તમે મને કહેશો કે, આ કયો તાંતણો છે ?”

“તે હું શી રીતે કહી શકું ?”

“જ્યારે તમે આટલું નથી કહી શકતા, ત્યારે કાલે શું થશે તે કેમ કહી શકો ? કાલે આપણી સંખ્યામાં વધારો થશે તો ?”

“એ સિવાય બીજું કંઈ કારણ છે ?”

“હા, પ્રભુએ નીર્મેલો દિવસ આજે નહિ, પણ કાલે છે, અને કાલે આપણને વિજય મળશે અને તે ફ્રાન્સને કોઈ વખત નથી મળ્યો, તેવોજ મળશે.”

અમને જોનમાં શ્રદ્ધા હતી. અમારાં હૈયાં હળવાં થયાં અને અમે ગપાટા હાંકવા લાગ્યા. એવામાં એક જાસૂસે આવીને કહ્યું કે, અંગ્રેજો ચોરી-છૂપીથી પાછા હઠે છે, એવું મને લાગ્યું.

સરદારોના ચહેરા ઉપરથી સ્પષ્ટ માલુમ પડતું હતું કે, તેઓ બહુજ આશ્ચર્યચકિત થયા હતા.

“તેઓ પાછા વળે છે” જોને કહ્યું.

“એમ દેખાય છે ખરું.”

“એ સાચીજ વાત છે.”

“આપણે આ આશા નહોતી રાખી, પણ કારણ ખુલ્લું છે.”

“હા” જોને કહ્યું “એ લોકોએ ઉદ્ધતાઇ છેાડી હવે કંઈક વિચાર કર્યો છે. અંગ્રેજ સરદારોના વિચાર મોંગનો પૂલ જીતી બીજી બાજુ નાસી જવાનો છે. આમ કરી તેઓ બોજંસીનો કિલ્લો બચાવવા માગે છે, પણ આપણે તે કેમ થવા દઈશું ?”

“બોજંસીનું શું કરવું ?”

“હું જરા વારમાં કંઇ પણ લોહી રેડ્યા વિના એ કિલ્લો કળાથી જીતીશ. જ્યારે એ લોકો પોતાની હાર થઈ છે, એવું જાણશે કે તુરતજ શરણે આવશે.”

બધા સરદારો ગર્જી ઉઠ્યા : “અમને જલદી મોકલો, મોકલો. દરેકને પોતપોતાનું કામ સોંપી દ્યો. પછી એને પણ આપણે પાણી દેખાડીએ.”

“જુઓ, એ કામ કંઇ અઘરૂં નથી. ત્રણ કલાક સુધી ભલે સિપાઈઓ આરામ લે. એક વાગે આપણે કૂચ કરીશું; શત્રુઓની પાછળજ રહેજો અને બનતાં સુધી લડતા નહિ. હું બોજંસી જાઉં છું. અમે તમને પાછાં મળસ્કામાં મળીશું.”