આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૭
વીર સાધ્વી જોન ઑફ આર્ક

છાતી કાઢી, સાવધ થઈ, અભિમાનથી બોલી :–

“મેં તેઓને કહ્યું કે શત્રુઓને તોડી પાડો !”

અંગ્રેજી નોકરીમાં રહેલા ફ્રેન્ચ સિપાઈઓએ ખળભળાટ મચાવી મૂક્યો. ધીમે ધીમે શાંતિ પ્રસરી, અને મુકદ્દમો આગળ વધ્યો.

“પ્રાર્થનામાં તારું નામ બોલાતું ?”

“બોલાતું તો તે મારા હુકમથી નહિ.”

“ફ્રેન્ચ લોકો માનતા કે તું ઈશ્વર તરફથી આવી છે ?”

“હું તે જાણતી નથી.”

“જો તેઓ એમ ધારે કે તું ઈશ્વર તરફથી આવી છે, તો એમાં કંઈ પણ ખોટું છે ?”

“શ્રદ્ધા હોય તો ફળે.”

“લોકો તારાં વસ્ત્ર, તારા હાથ અને તારા પગ શું કામ ચૂમતા ?”

“તેઓ મને જોઈને ખુશી થતા.”

“લેગનીમાં તેં એક બાળકને જીવતું કર્યું, એ સાચી વાત ? શું તે બાળક તારી પ્રાર્થનાથી જીવતું થયું હતું ?”

“તેની મને ખબર નથી. બીજી છોકરીઓ પણ મારી સાથે પ્રાર્થના કરતી હતી. જ્યારે અમે પ્રાર્થના કરતાં હતાં, ત્યારે તે જીવતું થયું અને રડ્યું. તેને મરી ગયાને ત્રણ દિવસ થયા હતા. રડીને તે પાછું ફરીને મરી ગયું.”

“તેં એમ કહ્યું છે કે અંગ્રેજોના હાથમાં પડવા કરતાં હું મરી જવાનું વધારે પસંદ કરૂં છું ?”

જોને પ્રમાણિકપણાથીજ ઉત્તર આપ્યો “હા.”

પછી જોન ઉપર એવું તહોમત લાવવા માં આવ્યું કે, જ્યારે તે કેદખાનામાંથી નાસી જવા મથતી હતી, અને જ્યારે તે નીચે પડી, ત્યારે તેણે પરમેશ્વરને ગાળો દીધી હતી.

જોને આવા આળથી ક્રોધે ભરાઇ ઉત્તર દીધો :–

“નહિ, એ સત્ય નથી. હું કોઈ દિવસ કોઈને શાપ આપતી નથી.”

(૭)

પછી થોડીક વાર કોર્ટે વિસામો લીધો. એ તો સ્પષ્ટ હતું કે, કોશન હારતો જતો હતો, અને જોન જીતતી જતી હતી. વળી કેટલાક ન્યાયાધીશો જોનની કોમળતા, પવિત્રતા, બુદ્ધિ અને ઉચ્ચ જીવનથી અંજાઈ ગયા હતા; અને તેઓ કોશનની સામા થાય એવો સંભવ હતો.