આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
મહાન સાધ્વીઓ

વાતચીત પણ નહોતો કરતો.

અનેક દિવસ સાસુનણંદનો ત્રાસ વેઠ્યા પછી, ઇલિઝાબેથના ધાર્મિક અને સહૃદય સ્વામી સાથે મેળાપ થયો. સરળ બાલિકા મનનો આનંદ હવે દબાવી શકી નહિ. એને સ્વામીનો પ્રેમ એટલો બધો પૂર્ણ, પવિત્ર અને ખરા મનનો લાગ્યો કે, હવે એને આ સંસારમાં ઈચ્છવા યોગ્ય બીજી કાંઈ પણ વસ્તુ રહી નહિ. કેવળ એ સુયોગ્ય સ્વામી દ્વારા ઈશ્વરે તેને સંસારના સમસ્ત પાર્થિવ વૈભવોનું દાન કર્યું હતું. લતા જેમ વૃક્ષનો આશ્રય લે છે, તેમ ઇલિઝાબેથ પતિનો આશ્રય લઈને પોતાને બધી આપત્તિઓમાંથી મુક્ત ગણવા લાગી. રાજકુમાર લૂઈ પણ એ ધર્મશીલા સન્નારીના ભક્તિપૂર્ણ પવિત્ર હૃદય ઉપર અધિકાર જમાવીને એવું સ્વર્ગીય સુખ અનુભવવા લાગ્યો કે એ સુખની સરખામણીમાં એને રાજમહેલનાં રત્ન અને માણેકો તુચ્છ જણાવા લાગ્યાં. એક શક્તિશાળી ધાર્મિક યુવકની સાથે ભક્તિમતી અને પ્રેમમય નારીનું મિલન થયાથી તેમનું દાંપત્ય જીવન આવા પ્રકારના આનંદ અને અમૃતથી પૂર્ણ થાય એમાં સંદેહ નથી. થોડાજ દિવસ પછી રાજકુમાર લૂઈ અને ધર્મશીલા ઇલિઝાબેથ રાજા અને રાણી બન્યાં. તેમના ચરણસ્પર્શથી સ્વર્ણસિંહાસન પવિત્ર થયું. એ સમયમાં ઇલિઝાબેથ હમેશાં સ્વામીને સુખી કરવાનો પ્રયત્ન કરતી. રાજ્યનું કામકાજ કરીને રાજા ત્યારે થાકી જતા, ત્યારે પત્નીની સેવા અને માવજતથી એનું શરીર પાછું સબળ થઈ હૃદયમાં આનંદ વ્યાપી રહેતો. પતિ વિદેશમાં જતા ત્યારે ઇલિઝાબેથ શણગાર સજતાં નહિ, સારી વાનીઓ જમતાં નહિ, બલકે કોઈ કે દિવસ તો એકટાણુંજ ખાતાં. એવા સમયમાં એમનો બધો કાળ ઉપાસના અને પ્રાર્થનામાંજ જતો. આવા સ્વભાવ માટે રાજપરિવારની સ્ત્રીઓ તેમની મશ્કરી અને નિંદા કરતી, પરંતુ ઇલિઝાબેથ એ બધું હસતે ચહેરે સાંખી રહેતાં.

ઇલિઝાબેથનું વય જેમ જેમ વધતું ગયું, તેમ તેમ સંસાર ઉપરથી તેમનું ચિત્ત ઉઠી જવા લાગ્યું. ઈસુ ખ્રિસ્ત કહી ગયા છે કે “તમારાં સમસ્ત હૃદય, સમસ્ત મન અને સમસ્ત શક્તિપૂર્વક ઈશ્વર ઉપર પ્રીતિ રાખો, તમારા પડોશી ઉપર પેાતાની જાત જેટલોજ પ્રેમ રાખો. આ બે આજ્ઞા કરતાં વધારે સારી આજ્ઞા બીજી કોઈ નથી.”