આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
મહાન સાધ્વીઓ

 થોડાક દિવસ પૂર્વે એ–રાણી ઇલિઝાબેથ સ્વામીના મૃત્યુના શોકને લીધે ગાંડા જેવાં બની ગયાં હતાં; પરંતુ આજે આવી મોટી આપત્તિને દિવસે તેમનું દુઃખ ક્યાં જતું રહ્યું ? તેમનાં આંસુ ક્યાં જતાં રહ્યાં ? તેમનું કરુણ અને મધુર મુખ પ્રશાન્ત હતું, હૃદય સ્થિર હતું. આ અકસ્માત આવી પડેલી આફતનો એ ધીરજ થી વિચાર કરવા લાગ્યાં. એમનો તો કાંઈ પણ અપરાધ નહોતો, તેમનાં સંતાનો તો તદ્દન નિર્દોષ હતાં; એમ છતાં પણ આ અણધારી વિપત્તિ શામાટે આવી પડી ? જરૂર, એમાં એમના વહાલા દેવતા–પ્રભુનો ગૂઢ અભિપ્રાય છુપાયલો હશે. હેન્રી તે વળી કોણ ? એ તો એક નિમિત્ત માત્ર છે. પવિત્ર હૃદયનાં એ નારીએ હેન્રી ઉપર કોઈ પણ જાતનો ક્રોધ પ્રગટ કર્યો નહિ. કોઈની પણ વિરુદ્ધ કાંઈ પણ કહેવાની તેમણે ઈચ્છા કરી નહિ; તેમણે ઈશ્વરની આગળ પ્રાર્થના કરી કે “મારા પ્રભુ ! તું મને શાંતિ આપ, કે જેથી હું તારે નામે આ દુઃખ ખમી શકું.”

ઇલિઝાબેથ ત્રણ સંતાનને લઈને બહાર રાજમાર્ગ ઉપર આવ્યાં. નાની છોકરી તેમના ખોળામાં હતી અને બીજા બે સંતાનો ધીમે પગલે માતાની સાથે સાથે ચાલતાં હતાં.

સંસારમાં મનુષ્યના જીવનની રમત આવી વિચિત્ર છે ! થોડાજ સમય પૂર્વે ઇલિઝાબેથને રાણીનું સન્માન મળ્યું હતું. વિશાળ રાજમહેલના સુરમ્ય ઓરડાઓમાં તેમનાં સંતાનોને સૂવા માટે દૂધ જેવી સફેદ ચાદરોવાળાં બિછાનાં બીછાવવામાં આવ્યાં હતાં. કાલે દાસદાસીઓ તેમની સેવા કરતાં હતાં, આજે એજ રાણી રસ્તાની ભિખારણ છે ! પેાતાને માટે તો આશ્રય લેવાનું સ્થાન નથી,એટલુંજ નહિ પણ સુકુમાર સંતાનોને પણ સોડ તાણવા જેટલી ક્યાંય જગ્યા નથી ! રાણીની આ સમયની અવસ્થા જોઇને એક પાદરીએ લખ્યું છે કે “વિચાર કરીને જોઈએ તો એકમાત્ર ઈશ્વરજ સત્ય છે, તેની કરુણાજ આપણો આધાર છે, તે આપણો છે અને આપણે તેનાં છીએ; નહિ તો બીજા કયા પદાર્થને સત્ય માની શકીએ ? કયો પદાર્થ હમેશને માટે આપણને આધાર આપી શકે ? કોણ સદાને માટે આપણું થઈને રહે?”

ટાઢ કડકડીને પડી રહી હતી. રાત્રિનો સમય હતો, ઇલિઝાબેથ આશ્રય મેળવવાની અભિલાષામાં ઘેરઘેર ફરી રહ્યાં છે. કોણ એમને આશ્રય આપે ? હેન્રીના ગુપ્તચરો ફરી રહ્યા છે. જો