આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ફસાવીને પાછાં સંસારમાં લાવી શકાય ખરાં !

૭ – પરલોકયાત્રા

ઇ. સ. ૧૨૩૧નો નવેમ્બર મહિનો હતો. ઈલિઝાબેથને જ્વર ચઢ્યો હતો. એ શય્યામાં શયન કરી રહ્યાં હતાં. એવી અવસ્થામાં રાત્રિને સમયે એક ઉજ્જ્વલ પ્રકાશ તેમની આગળ પ્રગટ થયો. એ સાંભળી શક્યાં કે, એમના જીવનના દેવતા મીઠે સ્વરે બોલી રહ્યા છે કે “પ્રિય ઈલિઝાબેથ ! તું આવ, તારે માટે નિત્યધામ તૈયાર છે, ત્યાં તને લઇ જઇશ.”

ઇલિઝાબેથ સમજી શક્યાં કે, હવે એમની શરીરયાત્રા સમાપ્ત થશે અને પોતે પ્રભુના તેડાને માન આપીને પોતે લાંબા સમયથી ઇચ્છેલા પરમધામમાં ચાલ્યાં જશે. આનંદથી એ તપસ્વિની નારીનું હૃદય ભરાઈ ગયું. આનંદપૂર્વક પરલોકયાત્રાની તૈયારી કરવા લાગ્યાં. શરીરની વેદના એમના આનંદનો નાશ કોઈ પણ રીતે કરી શકી નહિ.

ઇલિઝાબેથે મૃત્યુની પૂર્વે બંધુબાંધવ અને આશ્રિત દીનદુઃખી, માંદાંસાજાં – સર્વ લોકો પાસેથી એકે એકે વિદાય માગી. હવે તેમણે શાંત એકાગ્રચિત્તે, જીવનનો બાકી રહેલો થોડોક સમય ઈશ્વરધ્યાનમાંજ ગાળવાનો સંકલ્પ કર્યો. રખે એમના ચિંતનમાં ખલેલ પડે એટલા માટે પુષ્કળ લોકો ત્યાંથી ખસી ગયા. એક પાદરીએ ઇલિઝાબેથને પૂછ્યું કે “આપની માલમિલકતની શી વ્યવસ્થા કરવી છે ?”

ઇલિઝાબેથે કહ્યું કે “મારી પાસે જે કાંઈ પાર્થિવ સંપત્તિ હતી તે તો હું અગાઉથીજ ઇશ્વરના ચરણમાં સમર્પણ કરી ચૂકી છું. ઘણા દિવસ થયાં એ મિલ્કત ગરીબોની સંપત્તિ થઈ ચૂકી છે. પ્રભુ ઇસુ ખ્રિસ્ત સિવાય બીજો કોઈ મારો વારસ નથી.”

ઇલિઝાબેથને એકદમ એવું લાગ્યું કે જાણે સ્વર્ગીય સંગીતથી એમનું આખું ઘર પરિપૂર્ણ છે. પરમધામના દૂતો જાણે તેમના આવકારને માટે આનંદસંગીત ગાઈ રહ્યા છે. તેમણે એક વાર ઉંચે સ્વરે પ્રાર્થના કરવા માંડી. ત્યારપછી એમનો કંઠ નીરવ બની ગયો. એ વખતે અનેક સ્ત્રીપુરુષ રડવા લાગ્યાં. ઇલિઝાબેથે તેમને કહ્યું કે “શાંત થાઓ ! મને સ્વર્ગીય સંગીત સંભળાય છે. તેમાં ગડબડ ન કરો.”

૧૯મી નવેમ્બરે રાત્રિસમયે ઇલિઝાબેથે પરલોકયાત્રા ફરી.