આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હૈડિયાવેરાનાં સ્મરણો
૧૭૭
 

આ સાંભળીને ચિડાયેલા ઠાકોરે કહ્યું : "વારુ : જાવ અહીંથી. ફરી આ ગામે ન આવતા.”

“કેમ ના આવું ?”

“કેમ શું ? ઢેડને અડકો છો, આચારવિચાર પાળતા નથી ...” વગેરે વગેરે ઠાકોર બોલવા માંડ્યા ત્યારે મહારાજથી ન રહેવાયું. એમણે સામે કહ્યું : "ઠાકોર સાહેબ ! આ બધું તમે કોને કહી રહ્યા છો તે તો વિચારો ! આ તો બધું તમે અમારું બ્રાહ્મણોનું પઢાવ્યું પોપટિયું બોલી રહ્યા છો. ઉપદેશ આપવાનો અધિકાર તો અમારો બ્રાહ્મણોનો છે, ને ઊલટા તમે મને ઉપદેશ દેવા લાગ્યા છો ?”

“અમે ક્ષત્રિય છીએ.”

એટલું ઠાકોર બોલ્યા કે તરત મહારાજે બારી તરફ હાથ લંબાવીને કહ્યું ઃ 'તમારા બંગલાની સામે જ આવેલી પેલી લવાણાની દુકાન જે દા'ડે બાબર દેવાએ લૂંટી તે દા'ડે તમારી ક્ષત્રીવટ ક્યાં ગઈ હતી, ઠાકોર સાહેબ !”

“સારું, જાવ.”

એવો જાકારો સાંભળીને મહારાજ બહાર નીકળ્યા. ભાગોળે દરવાજાની અંદર એક ધર્મશાળા હતી. એ નિર્જન સ્થાનમાં પોતે એકાકી બેઠા. રાત પડી ગઈ હતી. કોઈ માણસ ત્યાં આવે એવી આશા રાખવાની નહોતી.



‘ક્ષત્રિય છું’

થોડી વારે એક આદમી દેખાયો. પાસે આવ્યો. પૂછ્યું : "ક્યાંથી આવો છો ? અહીં કેમ એકલા બેઠા છો ?”

મહારાજ : "તમે મારી કને શીદ આવ્યા છો ? તમે જતા રહો, નહીંતર ઠાકોર તમારું નામ સરકારને પોં'ચાડશે.”

આદમી : "હું ક્ષત્રિય છું. છો મને જે કરવું હોય તે કરે ઠાકોર. ઊઠો, હીંડો.”