ખાટલે બેસી ગયો, ખસતો જ નથી. સુવાડેય પોતે, ઉઠાડેય પોતે, મળ-મૂતર પોતે ઉપાડે: આ તો દાટ વાળ્યો !"
"છોકરી સારુ નવું ગોદડું ક્યાંથી લઈ આવ્યો ?"
"પોતાના બિસ્તરમાંથી કાઢીને પાથર્યું."
"મળ-મૂતરનાં ઠામડાં વેચાતાં લઈને ગામમાં નીકળ્યો એ દેખીને તો આપણા ન્યાતીલાએ મારા ઉપર માછલાં ધોયાં."
એ જ વખતે ધીરજલાલ દાખલ થાય છે. એના વાળનું કે લૂગડાંનું ઠેકાણું નથી. ઉજાગરાથી એની આંખો લાલઘૂમ છે.
"કેમ, ધીરજલાલ પારેખ ! આ શું ?"
"રાજકોટથી એકેદમ મોટા દાક્તરને બોલાવવો પડશે. મંછાને ગુહ્ય ભાગે એક લાંબો ચીરો પડેલો છે, ને એમાંથી લોહી વહ્યું જાય છે. આ તમારી કોઈની નજરે કેમ નથી ચડ્યું ?"
લજ્જાથી ધરતીમાં સમાવા તત્પર હોય એવાં મંછાનાં બા આડું જોઈને મોં આડે છેડો ઢાંકે છે, ઓઘડ માસ્તર આભા બને છે: "ધીરજલાલ ! આ તો સભ્યતા ચુકાય છે."
ધીરુ બોલ્યો: "એ ચીરો કોઈના જોવામાં જ ના આવ્યો ? આ તો હમણાં મેં આંહીંની 'મિડ-વાઇફ'ને બોલાવીને તપાસ્યું ત્યારે જ ખબર પડી. નીકર આનું શું થાત ! આ લોહી વહે છે એટલે જ બેભાન છે. એને આનો જ તાવ અને સનેપાત છે. જખમ 'સેપ્ટીક' બની ગયો છે."
"તમે શું સમજો, ધીરજલાલ !" સાસુ કોચવાયાં: "એને તો કંઈક વળગાડ છે, બાપ ! તમારી મૂએલી મા ચોંટી પડી છે, ભા ! ઠાલા-લોહીની અને ચીરાની વાત શીદ કરો છો ?"
"આપણા રામેશ્વર વૈદ અને મોતડી સુયાણી શું કહે છે ?" સસરાએ પૂછ્યું.
"આમાં વૈદ-સુયાણીની વાત જવા દઈએ." જમાઈએ કહ્યું.
"એમ કેમ ? રામેશ્વરને તો ચરક ને સુશ્રુત બેયના શ્લોકેશ્લોક કંઠાગ્રે છે. એણે તો મડાં બેઠાં કર્યાં છે."