"ભીમાકાકા !આવું ગળું કેવી કરામતથી કરી શકાય ?"
"ઠેકડી કરો છો ને, પરવીણભાઈ ! અમારે તો પશુડાંની હારે વાતું કરવી રહી."
"ના, કાકા, હું સાચું પૂછું છું."
"કાંઈ ઈલમ નથી. ભાઈ ! અમારો આહર જ દૂધનો; અમે આચરકૂચર ખાવામાં સમજીએ નહિ. અને ફોગટ-ફોગટની વાતું ન કરીએ; બોલવાનો રસ હોય ત્યારે જ બોલીએ. શા સારુ ગળાની નરવાઈ ન હોય !"
"ભીમાકાકા, રબારીમાં રતાંધળાં કેવાંક ?"
"રબારી રતાંધળો કોઈ દિ' હોય જ નહિ. અમાસની અધરાતે પણ અમારી નજર અધગાઉને માથે પોગે."
"અને આ બીજાં લોક ?"
"લોક ઘણુંખરું રતાંધળું."
"એમ કેમ !"
"જાણે... જો, ભાઈ: એક તો અમે સાત વરસની ખોરી જાર ખાયેં ઈ કબૂલ, પણ બાજરાને બહુ ન અડીયેં. દૂધ-ઘી ઠીકઠીક હોય તો જ બાજરો ખાવો પરમાણ; નીકર બાજરાની ગરમી એવી દોયલી છે કે ભલભલાંને ઢાળી દિયે."
પ્રવીણચંદ્રે આ લોક-વિજ્ઞાન પહેલી જ વાર જાણ્યું.
"બીજું એમ છે, ભાઈ, કે જ્યારે અમારી ગાય-ભેંસ વિંયાય, ત્યારે ઘરે હોંઈ તો ઘરે ને સીમમાં હોઈં તો સીમમાં અમે ખાખરનાં પાંદના પરડિયામાં ખીરું દોહીને કાચું ને કાચું પી જાઈએ."
"તમે ખીરું પીઓ ? કાચું ખીરું ?"
"હા. તમે એની રાંધેલી બળીએ ન પચાવી શકો, અને અમે નર્યું ખીરું પીયેં. પણ ખીરું પીધા પછી બે દા'ડા સુધી પાણી કે અનાજ ન લઈએ. જો લીધું, તો ઝાડા હાલ્યા જાય. આ ઈ ખીરાનાં હાડ છે અમારાં. ખીરું અમને દીપડા સામાં બથોડાં લેવાની તાકાત આપે છે. ઈ તમારી દવાયુંથી