પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૬૭

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તને કશું ઓઢવા- પહેરવાનું ન લઈ દેતો હોઉં!”

“પણ હું એમ ક્યાં કહું છું ?”

“મને આ વાદળી રંગ ગમતો નથી એ તો તું જાણે છે ને ?”

રમાએ એ આજે પહેલી જ વાર જાણ્યું.

“અને આ સ્લીપર ઉપર તો સહુની નજર નાચી રહેશે. તે કરતાં મેં આણેલાં રંગુની ચંપલ શાં ખોટાં છે?”

“તમે કહેતા’તા ને કે , બીજાંઓની ટીકાની આપણને શી પરવા છે ?”

“બસ , હું કહેતો’તો તેનો આવો અર્થ કરીયે નાખ્યો કે ?”

રમાને ગમ જ ન પડી કે તો પછી કેવો અર્થ કરવો જોઈએ.

“રહો , હું અબઘડી જ બદલાવી આવું.”

એમ કહેતી , જયમન સહેજ વિવેકથી ‘કંઈ નહિ હવે... ' કહેતો રહ્યો તેની પરવા કર્યા વિના, રમા મેડી પર ગઈ, અને સાડી-સ્લીપર બદલાવી લાવી.

“વાહ ! સાંજના તડકામાં કેસરી રંગ હવે કેવો શોભે છે ! તું પણ ,રમા , રંગની રસિકતા બરાબર સમજે છે, હોં.”

જયમનનાં એ વખાણથી મોં મલકાવવા યત્ન કરતી રમાના હોઠ કેમેય મલકાટ કરી શકતા નહોતા. બે પૂછલેલા બળદો કોઈ ઊંડા કીચડમાંથી ગાડું ખેંચવા મથતા હોયને જાણે એવો તે બે હોઠનો પ્રયત્ન હતો.

“આમથીજ ચાલશું ને?” એમ બોલી, બજારનો પાધરો માર્ગ છોડી જયમને બાલુભાઈને ઘેર જવાનો લાંબો, ફેર વાળો રસ્તો લીધો.રમાનાઉપરએ છત્રી ધરીને ચાલ્યો. રસ્તે ખેડૂતોની ને ગોવાળોની વહુ-દિકરીઓ મોં આડા ઓઢણાંના છેડાદઈને ઊભી ઊભી જોઈ રહી.

જયમન કહે : ‘છો ને જુએ ! આપણને એની શી પડી છે !”

પછી રસ્તામાં એણે કેટલાય મિત્રોના સંસાર –જીવનના દાખલા રમાને સંભળાવ્યા: “ધૂળ પડી નટુના બી.એ. થયામાં; બિચારી શાંતા તો ચોવીસેય કલાક ગોંધાયેલી ને ગોંધાયેલી, પ્રવીણ ભાઈ દાકતર આખા ગામને ઘેર ઘેર છેક રસોડે પેસીપેસીને ભાઈબંધોની પત્નીઓના હાથેથી ચા પી આવે; પણ