પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૨૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રઘના૦—તમે આવ્યા શું રળવા ?

રંગલો૦— આવ્યા તમને મળવા.

રઘના૦—તમ આવે અમ રાજી.

રંગલો૦—અમે પ્રસન્ન થયાજી.

રઘના૦—તમે બહસ્પતિ દેવા.

રંગલો૦—તમે ભેંશપતિ જેવા.

સોમના૦— (ઉભો થઇને) અલ્યા, ભેંશપતિ કોને કહેવાય ?

રંગલો૦—"ભેંશનો પતિ પાડો, હોય શરીરે જાડો, તે ભગરી ભેંશનો લાડો" તેને ભેંશપતિ જેવો કહેવાય.

રઘના૦—નહિ નહિ મૂર્ખા. મહા પંડિત હોય તેને બૃહસ્પતિ જેવો વિદ્વાન કહેવાય.

રંગલો૦—મેં પણ તમને ભેંશપતિ જેવા વિદ્યમાન કહ્યા કે નહિ ?

રઘના૦—(પોતાની સ્ત્રીને) અલી સાંભળે છે કે નહિ ?

દેવબા૦—શું કહો છો, સોમનાથના બાપા ?

રઘના૦—આ જીવરામભટ્ટનો સંદેશો આવ્યો છે. તે જમનાને તેડવા સારૂ એક બે દહાડામાં આવનાર છે, માટે લૂગડાં ચીથરાં કરવાં હોય તે કરી રાખજો.

દેવબા૦—સાલ્લા, ઘાઘરા અને કાંચળીઓ તો મેં તૈયાર કરે રાખી છે, પણ બેક ધૂપેલ કરવું છે અને કાજળ પાડવું છે.

રંગલો૦—આથી વળી વધારે કાજળ જમનાના કપાળમાં કેટલું ચોપડવું છે ? કહ્યું છે કે —

वंशस्थ वृत्त
मिथ्याभिमानी वर जेहने मळ्यो,
ते माननीनो अवतार तो बळ्यो;
करे कळापो बहु सर्व काळमां,
तेने सदा काजळ छे कपाळमां। १९

રઘના૦—(સ્ત્રીને[૧]) અલી સાંભળે છે?

દેવબા૦—શું કહો છો?

રઘના૦—રામનાથ મહાદેવમાં પેલા ચિદાનંદસ્વામી રહેતા હતા, તેમણે કાલે કૈલાસવાસ કર્યો. એવા સ્વામી બીજા મારા જોવામાં આવ્યા નથી. એ તો મહા જોગીરાજ હતા.

દેવબા૦—કાશીમાં એમના જેવા હશે ?

રઘના૦—અરે કાશીમાં પણ એવા નહિ હોય.

દેવબા૦—ત્યારે કૈલાસમાં તો હશે જ.

  1. હાસ્યરસની પુષ્ટિ વાસ્તે રંગલો બોલ બોલ કરે, માટે તેને હમેંશા ઉત્તર આપવાની જરૂર નથી. વળી તેણે અણગમતું કહ્યું, તેથી રઘનાથભટ્ટે આડી વાત ચલાવી.