આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જૂઠી લોક કરે છે આળ, ઉતાર મુજ માથેથી ગાળ;
જૂઠી હોઉં તો નિર્મુખ મેલ, નહિ તો સહૂ સતીમાં ભેળ. ૫૨૬
વિના અગ્નિ બાળે મૂજને, પ્રત્યક્ષ દેવ જાણું તૂજને;
સ્તુતિ કીધી ઘટિકા જ્યાહરે, આપ આદિત્ય આવ્યા ત્યાહરે. ૫૨૭
પ્રત્યક્ષ દેવનું પ્રગટ્યું રુપ, ભામિનીએ દીઠો તે ભૂપ;
સાક્ષાત્કાર જગતનો નાથ, આવી આડા દીધા હાથ. ૫૨૮
તે તો અન્ય ન જાણે કોય, નારી એકલી દૃષ્ટે જોય;
કહે પદ્મિણી સુણ હે સ્વામ, મહેલતું મનથી અભિમાન. ૫૨૯
અગ્નિ વિના બાળું હું દેહ, તારા મનનો ભાંગે સંદેહ?
એમ કહીને નારી નમી, તેહ વાત સહુકોને ગમી. ૫૩૦
જો સત્યવાદી હશે પૂરપતિ, વિના અગ્નિ બાળશે એ સતી;
સાચું સાચું કહે સહુ કોય, વજીર તે તો દૃષ્ટે જોય. ૫૩૧
એહ વાત માની સહુ મન, ત્યારે બોલ્યો રાયનો તન;
પ્રધાન પાપી સાંભળ વાત, તારે મુખે કહે સાક્ષાત. ૫૩૨
વિના અગ્નિ સતી બાળે દેહ, તું જૂઠો ને સાચી એહ;
રખે હવે કોઇ સાથે વઢો, લોક દેખતાં શૂળી ચઢો. ૫૩૩
તારે મોઢે નક્કી વાંક, ચઢાવીશ શૂળી આડે આંક;
કુંવર કહે સાંભળરે તું, ઘણું વિચારી મારીશ હું. ૫૩૪

દોહરા.

કહે વજીર સુણ રાયજી, સાચો માનો મર્મ;
સુખે મને તું મારજે, નવ ચૂકિશ તુજ ધર્મ. ૫૩૫
માનિની માથા ઉપરે, વરસે અગ્નિમેહ;
બાધી એહ બળી રહી, શું બળશે હવે દેહ? ૫૩૬
ઉદરમાં અગ્નિ ભરયો, તે બાળે જળ અન્ન;
તેને એહ પ્રગટ કરે, તેથી બાળે તન. ૫૩૭
નિશા જાળ નારી લહે, જાણે નોળી કર્મ;
તેથી દેહ બાળી શકે, તેમાં શાનો ધર્મ. ૫૩૮
એક શૂરાપણું એહમાં, બીજો દેહમાં ક્રોધ;
ત્રીજું કલંક ઉતારવા, દે છે બહુ પ્રતિબોધ. ૫૩૯
જૂઠો રાજા મેં હણ્યો, જૂઠી બળશે નાર;
જૂઠો તું મારિશ મુને, એમાં શો વહેવાર. ૫૪૦