આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬ સુદર્શન ગઘગુચ્છ–૨

પણ તેથી પ્રાપ્ત થતું નથી. વળી અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે પણ પુનર્લગ્ન ન હોય એ લાભકારક વાત છે. પ્રજાની વૃદ્ધિથી કરીને દેશની સમૃદ્ધિમાં જે વિભાગ પડે છે તેથી તથા તેની તે જમીનમાંથી પાક વધારે લેવાની ફરજ પડવાથી જમીનનો કસ ઓછો થાય છે તેથી, દેશની અવસ્થા ઘણી ગરીબ થવા માંડે છે ને પૈસેટકે તથા વિદ્યા વગેરેની બાબતોમાં પણ સાધનહીન હોવાથી લોક દુઃખી થવા લાગે છે. અમુક હદ ઉપરાંત પ્રજાની વૃદ્ધિ ન થઈ જાય માટે મરણ, મહાવ્યાધિ, યુદ્ધ, દુકાળ, વગેરે પ્રસંગ સ્વાભાવિક રીતે જ બન્યાં જાય છે. પુનર્લગ્ન ન કરવા દેવાં અને પ્રજા ઓછી થવા દેવી એ પણ આ રીતે પ્રજાની વૃદ્ધિ થવાથી દેશને જે હાનિ થવાનો સંભવ તે અટકાવવાનું એક સ્વાભાવિક સાધન છે. આમ વિચારતાં પુનર્લગ્ન ન કરવું એ સર્વ રીતે લાભકારક વાત જણાય છે; તે છતાં વારંવાર તે કરવું એમ જ ઉપદેશ શા આધારે કરવો એ અમારાથી સમજી શકાતું નથી.

સ્ત્રીપુરુષના હક સમાન માનવાવાળા આ પ્રસંગે પૂછુયા વિના નહિ રહે કે જ્યારે પુનર્લગ્ન કરવાની ના કહી ત્યારે સ્ત્રીપુરુષ ઉભયને કે એકલી સ્ત્રીને જ. અમે તો આગળથી જ સ્ત્રીને પ્રેમભાવમાં પુરુષ કરતાં કાંઈક અંશે ચઢિયાતી માની છે, ને જ્યારે પ્રેમભાવ જ પુનર્લગ્ન કરવામાં બાધક છે ત્યારે સ્ત્રીએ તો જરૂર તે ન કરવું એમ સિદ્ધ થયા વિના રહેતું નથી. પુરુષનું શ્રેયસ્ પણ એ જ પ્રેમભાવમાં, ને તે પ્રેમભાવના પ્રૌઢ વિસ્તારમાં રહેલું હોવાથી તેમને પણ એક પ્રેમની જરૂર ઉઘાડી જ છે. એટલે તેમને પણ એ પુનર્લગ્નનો પ્રસંગ આવી શકતો નથી. જેમ વ્યવહારમાં, બોલવામાં, રીતિમાં ને છેવટે ધર્મમાં પણ ઐક્ય–અદ્વિતીયતાની–અવશ્ય જરૂર છે, ને તે એટલે સુધી કે તે અદ્વૈતભાવ વિના ખરો ધર્મ, ખરી નીતિ, કે ખરો વ્યવહાર હાથ થયો છે એમ મનાય જ નહિ, તેમ લગ્નની બાબતમાં પણ જીવતાં કે મુવા પછી પણ સર્વ કાલ ચાલુ રહે તેવા ઐક્યની પૂરી આવશ્યકતા છે એ જ અમારો વારંવાર પ્રતિપાદન કરેલો સિદ્ધાન્ત લક્ષમાં રાખવાથી પુનર્લગ્નનો અવકાશ માત્ર પણ આવી શકશે નહિ.

માણસ પોતે બને તેટલી યોજનાઓ કરે, બાલલગ્ન ન કરે, વય, જ્ઞાન, સમૃદ્ધિ જોઈને લગ્ન કરે, તથાપિ વૈધવ્ય નહિ જ આવે એમ તો પ્રારબ્ધના અદૃષ્ટ પણ અચૂક અંકોડામાં જડાયેલા કોઈ માણસથી કહી શકાય તેમ નથી જ. આવા પ્રસંગોમાં જ પ્રેમનો જ મહિમા વારંવાર કહ્યો તે ઉપયોગનો અને ફલદાતા