આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરુબક્ષસીંગ ધીલોન
૧૨૫
 

જાન્યુઆરી ૧૯૪૫ના રોજ જ્યારે એ હુકમમાં જણાવવામાં આવ્યું હતું કે તા. ૨૦મી જાન્યુઆરી ૧૯૪૫ પહેલાં એ સ્થાન કબજે કરી લેવું જોઈએ. આમ જે તારીખે એ સ્થાન કબજે કરવાનું હતું તે તારીખ વીતી ગયા પછી નવ દિવસે એ હુકમ મળ્યોઃ એ વખતે કર્નલ ધીલોન ગળાના દર્દથી પીડાતા હતા અને તેમની મોટર ખોટકાઈ ગઈ હતી.

પરિસ્થિતિ બગડતી જતી હતી. જંગ દરમિયાન નહેરૂ બ્રિગેડના ૮૦૦ માણસોમાંથી ૨૦૦ જેટલા ચૂનંદા અને પ્રથમપંક્તિના સૈનિકો માર્યા ગયા હતા. આઝાદ હિંદી ફોજને માટે હવે વિજય કરતાં ટકી રહેવાનો અને દુશ્મનો સાથે ટક્કર લેતાં રહેવાનો જ પ્રશ્ન હતો, પણ દુશ્મન ફોજો આગળ વધતી હતી. બીજી બાજુ જાપાનિઝ ફોજો પણ મોરચાઓ પરથી પીછેહઠ કરતી હતી.

મોરચા પર નિરાશા ફેલાઈ હતી. અધૂરાં સાધનો અને બીજી અનેક મુશ્કેલીઓ વચ્ચે જીવતાં આઝાદ હિંદ ફોજના સૈનિકોને લલચાવીને ફોડવાનો પ્રયાસ પણ દુશ્મન ફોજો તરફથી થયો હતો. અલબત્ત આ પ્રયાસના કેટલાક ખરાબ પ્રત્યાઘાતો તો પડ્યા અને કેટલાક સૈનિકો આઝાદ હિંદ ફોજમાંથી નાસીને દુશ્મનને પણ મળી ગયા હતા. એની અસર આઝાદ હિંદ ફોજ પર સમગ્ર રીતે નૈતિક બળ તોડવામાં સફળ થઈ હતી.

કર્નલ શાહનવાઝે પણ હવે તો શરણાગતિ સ્વીકારી હતી. એ જોતાં તેમ જ હવે પલટાયેલી પરિસ્થિતિમાં લડત ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી એવી પ્રતીતિ કર્નલ ધીલોનને થવા લાગી. દરમિયાન જાપાની સેનાપતિએ દુશ્મન વધુ થાણાઓ કબજે કરતો કરતો આગળ વધી રહ્યો છે તેવા સમાચાર પહોંચાડ્યા. એના પરિણામે કર્નલ ધીલોને, શરણાગતિ સ્વીકારવાનો નિર્ણય કર્યો અને નજદિકના મિત્રદળોના સેનાપતિ પર નીચે મુજબનો પત્ર મોકલ્યો.