આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
નેતાજીના સાથીદારો
 

જે હિંદને હવે વધુ વખત માટે ગુલામીમાં રાખી શકે. આપણે જીવતા રહીએ ને કાર્ય કરતા રહીએ અથવા તો લડતાં લડતાં આપણે મૃત્યુ પામીએ, પણ હરેક સંજોગોમાં આપણે એટલો તો સંપૂર્ણ વિશ્વાસ રાખવાનો છે કે આપણે જે કાર્યને માટે લડી રહ્યા છીએ તેની સિદ્ધિ અનિવાર્ય પણે ચોક્કસ છે. હિંદની આઝાદી પ્રત્યે ઇશ્વર અંગુલિનિર્દેશ કરી આપણને માર્ગ બતાવી રહ્યો છે, આપણે માત્ર આપણી ફરજ બજાવવાની છે અને હિંદની આઝાદી માટેની કિંમત ચૂકવવાની છે. અમારાં હૈયાં, તમારી અને આપણા રાષ્ટ્રની ગુલામીની જંજીરો તોડવા માટેની આપણી લડતમાં જેઓ તમારી સાથે ઊભા છે, તે તમામની સાથે છે.

મહેરબાની કરીને તમારા હાથ નીચેના તમામ ઓફિસરો અને સૈનિકોને મારાં હૃદયપૂર્વકનાં અભિનંદન પાઠવશો. તમને પણ મારાં અતઃકરણપૂર્વકનાં અભિનંદન. ઈશ્વરના આશિર્વાદ તમારા પર ઊતરી રહો અને વિજયશ્રીને વરો.

જયહિંદ

(સહી)સુભાષચંદ્ર બેઝ

આ પત્રના પ્રત્યુત્તરરૂપે કર્નલ ધીલોને નેતાજી સુભાષચંદ્ર બોઝ પર લખેલો પત્ર નીચે મુજબ છે.


બર્મા
૨૦ માર્ચ ૧૯૪૫

પ્યારા નેતાજી,
જયહિંદ
આપનો તા. ૧૨ મી માર્ચ ૧૯૪૫નો પત્ર મળ્યો. પત્રમાંની વિગતો જાણી. મારી લાગણીઓ તો, મારા અશ્રુ દ્વારા જ જાણી શકશો.

મારા પ્રત્યે અને મારા સાથીઓ પ્રત્યે પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરવા માટે હું આપના અંતઃકરણપૂર્વકનો આભાર માનું છું.