આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ડગલું નવ ભરાતું ! ભારે હૈયે શું જામ્યો ?
મન મૂંઝવતી જાગી ઘેરગંભીર વાચા :


‌‘રાજ્યાસનો ? અહ, પગેથી ખસેડી નાખું !
લૂંટાવું હું કિરીટ સોનલ રાજદંડ !
ફૂંકે ઉડાડું ઝગતા વિભવો વિલાસો !
રોધે છતાં ખટક કો હૃદયે રહેલી ?’


ત્યજી દેવાં સ્હેલાં જડ મુકુટ હીરામણિજડ્યા;
ત્યજી દેવાં સ્હેલાં નીલમમણિનાં આસન મઢ્યાં;
ત્યજી દેવા સહેલા નથી નથી અરે સ્નેહકિરીટો!
પ્રભાવન્તાં હૈયાં સમ ન મળતાં આસન કહીં !


વૈરાગ્યથી વળી જગે નિજ વૃત્તિ ચૉંટી;
ઊંડાણથી સ્મૃતિ તણા ઝબકાર જાગ્યા;
એ પૂરમાં હૃદય કૂંણું કુમાર કેરું
ભૂલી વ્યથા જગતવ્યાપી તણાયું જાય.


કોનાં હેત વિસારવાં? હૃદયના ભાવો કયા ભૂંસવા ?
છાપ્યાં સ્નેહલ ચિત્ર નેનપડદે - શી રીતથી લુછવાં ?
કોના મિષ્ટ મધુરવા ટહુકડા કર્ણે પડ્યા વીસરે !
હૈયાં સ્નેહીતણાં વીંધી મનુજ શું કલ્યાણ આશા ધરે ?


ઉઘાડી પાંપણો નીચે સ્વપ્નશ્રેણી વહી જતી;
રેલે સ્નેહ તણો સિંધુ – તરે મૂર્તિ પ્રભાવતી

.

માતાપિતાની મીઠી આંખમાંથી
વાત્સલ્યના ધોધ વહી રહ્યા છે !
સંદેશ શાં શાં ઉચરી રહે છે,
પ્રેમાલ પત્નીની અબોલ વાણી !

બુદ્ધનો ગૃહત્યાગ : ૩૧