સદાને માટે બંધ કરી દઉં; ચૂના ને પથ્થરથી ચણી લઉં...
સુનીલાને હું મિત્ર બનાવું એ જ બરાબર થશે.
ફડાકાના અવાજથી બીધેલ નાનું બાળ જ્યારે પોતાની ભીરુતા ઉપર શરમ અનુભવે છે, ત્યારે બીજા અવાજની સામે ટકી રહેવા માટે એ બહાદુરીની બનાવટ કરે છે. એવી બનાવટી હિંમત ધરીને નિરંજન દીવાન-બંગલે જઈ પહોંચ્યો. હંમેશની જેમ સરયુ અને સુનીલા બેઉ જોડે જ ઓરડામાં બેઠાં હતાં. નિરંજનને જોતાં સુનીલા બોલી ગઈ. “ત્યારે તો તમે આવ્યા ખરા !”
“કેમ, નહીં આવું એમ માનેલું ?”
"મેં બહુ સતાવેલા ખરા ને !”
“કંઈ નહીં, એ તો મેં મારો મેળ મેળવી જોયો છે.”
“એ વળી શું ?”
“એમ, કે આપણે મિત્રો બનીને જ રહીએ."
“પણ મેં ક્યાં કહેલું કે આપણે શત્રુઓ છીએ ?”
સરયુ હવે છૂટ લેવા લાગી હતી. એણે જરી લહેર કરી:
"સુનીલાબહેનને તો ઘણાય મિત્રો છે.”
"એમાં ભલે એકની વૃદ્ધિ થતી.” સુનીલા જાણે કે કશુંક સહન કરી લેતી હોય તેવી બેજવાબદાર રીતે બોલી.
"હું એ બધાની જોડે ખપવા નથી ઈચ્છતો.”
"તમે સર્વત્ર જુદા જ તરી નીકળવા શા માટે ઈચ્છો છો ?”
“બીજાઓને મન મૈત્રી બહુ સસ્તી વસ્તુ છે; મારે મન મૈત્રીમાં